ભાવનગરઃ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલે વાંરવાર એ વાત પર ભાર મૂક્યો હતો કે, કોંગ્રેસમાંથી આવેલા પક્ષપલટુઓને ભાજપ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ટીકીટ નહીં અપાય. પાટીલે ભાજપનાં કાર્યકર સંમેલનોમાં વારંવાર આ વાતની મોટા પાયે જાહેરાત કરી હતી પણ ભાવનગરમાં આ વાતનો છેદ ઉડાવી દીધો છે.


ભાજપે ભાવનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 5માં કલાક પહેલાં જ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દેનારાં મહિલા ઉમેદવાર ગીતાબેન મેરને ટીકીટ આપી છે. ભાવનગરમાં કોંગ્રેસમાંથી રાજીનામુ આપનારાં ગીતાબેન મેર બપોરે ભાજપમાં જોડાયાં હતાં ને ભાજપમાં જોડાયાં તેના કલાકની અંદર જ ભાજપે ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉમેદવારોની યાદી બહાર પાડી તેમાં વોર્ડ નમ્બર 5ના ઉમેદવારોમાં ગીતાબેનનું નામ હતું. છેલ્લી ઘડીએ ભાજપ પક્ષે ટીકીટ આપતા આ મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે.