Biparjoy Cyclone Update: ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં અત્યારે બિપરજૉય વાવાઝોડાએ ગંભીર સ્થિતિ પેદા કરી દીધી છે. બિપરજૉય વાવાઝોડાએ ફરી એકવાર દિશામાં પરિવર્તન થયું છે. વાવાઝોડુ પાંચ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. બિપરજૉય વાવાઝોડુ જખૌથી ફક્ત 290 કિલોમીટર દૂર છે, અને અને ધ્યાનમાં રાખતા કહી શકાય કે, આ બિપરજૉય વાવાઝોડુ 15 જૂને ગુજરાત પર ત્રાટકી શકે છે. આ બધાની વચ્ચે હવે કચ્છના માંડવી બીચ પર સઘન વ્યવસ્થા અને દરિયાઇ સુરક્ષાને વધુ કડક બનાવી દેવામા આવી છે.  


બિપરજૉયના કારણે કચ્છના માંડવી બીચ પર વહીવટી તંત્રએ એક્શન લેવાનું શરૂ કરી દીધુ છે. કચ્છના માંડવીમાં ભારે પવન અને ઊંચા ઊંચા મોજા ઉછળવાનું શરૂ થઇ ગયુ છે. માંડવી પૉર્ટ પર 10 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યુ છે. માંડવી પૉર્ટ પર જવા પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. બિપરજૉયની કચ્છના દરિયામાં જોરદાર અસર જોવા મળી રહી છે.


બિપરજૉયને લઇને હવામાન વિભાગ સતત અપડેટ આપતુ રહે છે, હવે આ મામલે કહી શકાય છે કે, બિપરજૉય વાવાઝોડા પહેલા ગુજરાત-મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં તોફાની પવનો સાથે ભારે વરસાદ વરસી રહ્યો છે. વાવાઝોડા અગાઉ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પાંચ લોકોના મોત થયા છે. વાવાઝોડા અગાઉ સુરક્ષા અને સલામતીના ભાગરુપે 8 જિલ્લામાંથી અત્યાર સુધીમાં 37 હજાર 794 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.


 


કામ વગર ઘર બહાર નીકળશો નહી, મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલની લોકોને અપીલ 


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યનાં દરિયાકાંઠા વિસ્તારોમાં બિપરજોય વાવાઝોડાની સંભવિત આપદાને પગલે નાગરિકોને સુરક્ષા-સલામતી માટે વહીવટી તંત્રનો સહયોગ કરવા અપીલ કરી છે. મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલે બિપરજોય વવઝોડાની આ સંભવિત આપદાને પહોંચી વળવા રાજ્ય સરકારે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને ગૃહ મંત્રી અમિત શાહના માર્ગદર્શનમાં જે આગોતરૂ આયોજન કર્યું છે તેની વિગતો આપી હતી. ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નાગરિકોને કરેલી અપિલમાં જણાવ્યું કે, ઝિરો કેઝ્યુઆલિટીના એપ્રોચ સાથે રાજ્ય સરકારે આગોતરા બચાવ-રાહત, પૂન:વ્યવસ્થાપનના આયોજન સુનિશ્ચિત કરી લીધા છે.  મુખ્યમંત્રીએ નાગરિકોને રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વખતો વખત અપાતી સૂચનાઓ-નિર્દેશીકાનું પાલન કરવાની પણ અપીલ કરી છે.
 
તેમણે વધુમાં ઉમેર્યું કે, ખાસ કરીને ભારે વરસાદ અને તિવ્ર પવનની આગાહીને પગલે બને ત્યાં સુધી ઘરમાં જ સલામત રહીએ અને બહાર નિકળવાનું ટાળીએ. વૃક્ષ નીચે, થાંભલાઓ પાસે કે જુના જર્જરીત મકાનોમાં આશ્રય લેવાનું ટાળીએ. વીજળીના તાર કે વીજ ઉપકરણોને અડીએ નહી અને વીજ થાંભલાથી દૂર રહીએ.  મુખ્યમંત્રીએ સૌને જરૂરિયાતના સમયે સ્થળાંતર માટે તંત્રનો સહયોગ કરવા અને સૂચનાઓનું પાલન કરી પોતાની અને પોતાના પરિવારની સુરક્ષા સુનિશ્ચિત કરવા અનુરોધ કર્યો છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, સલામતી, સાવચેતી અને અગમચેતી એ જ આવી આપદાઓ સામે ટકી રહેવાનો યોગ્ય માર્ગ છે અને આવા સમયે રાજ્ય સરકાર દિવસરાત સૌની સલામતિ માટે સેવારત છે.