અમદાવાદ: ગુજરાતમાં ચાંદીપુરાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.  શનિવારના એક જ દિવસમાં ચાંદીપુરાના વધુ 13 શંકાસ્પદ કેસ નોંધાયા હતા.  જ્યારે સાત બાળકના મોત થયા હતા. સરકારી આંકડા મુજબ અત્યાર સુધીમાં ચાંદીપુરાના માત્ર 9 કેસ કન્ફર્મ થયા છે.  હાલની સ્થિતિએ ચાંદીપુરાના 62 શંકાસ્પદ કેસ છે અને કુલ મૃત્યુ 27ના થયા છે.


ગુજરાતમાં હાલ વાયરલ એન્કેરેલાઈટિસના 71 કેસ છે.  જેમાં સાબરકાંઠામાં 8, અમદાવાદ શહેર, અરવલ્લી અને મહેસાણામાં ચાર, મહિસાગર, રાજકોટ ગ્રામ્ય, સુરેન્દ્રનગર અને બનાસકાંઠામાં બે-બે, ગાંધીનગર ગ્રામ્ય, ખેડામાં પાંચ, પંચમહાલમાં 11, વડોદરા શહેર-ગ્રામ્ય, નર્મદા, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ શહેર અને કચ્છમાં એક કેસનો સમાવેશ થાય છે. 


શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ શરૂઆતના તબક્કે પૂણે મોકલાયા હતા.  જેના રિપોર્ટ આવવાનું શરૂ થઈ ચૂક્યું છે.  જેમાં અરવલ્લી,મહેસાણામાં સૌથી વધુ બે-બે, સાબરકાંઠા, ગાંધીનગર, પંચમહાલ, મોરબી, વડોદરામાંથી એક-એક દર્દીનો કેસ પોઝિટિવ આવ્યો હતો. અત્યાર સુધી ચાંદીપુરાથી 27ના મૃત્યુ થયા છે. 


કુલ મૃત્યુઆંક વધીને 27 પર પહોંચ્યો


જેમાં પંચમહાલમાં સૌથી વધુ ચાર, અમદાવાદ શહેર, અરવલ્લી, મોરબીમાં ત્રણ-ત્રણ, સાબરકાંઠા, રાજકોટ અને દાહોદમાંથી બે-બે, જ્યારે મહિસાગર, સુરેન્દ્રનગર, ગાંધીનગર ગ્રામ્ય, ગાંધીનગર શહેર, વડોદરા ગ્રામ્ય, દેવભૂમિ દ્વારકામાથી એક-એક બાળકના મૃત્યુ થયા છે.  17 જુલાઈના ચાંદીપુરાથી કુલ મૃત્યુઆંક 14 હતો અને હવે તે વધીને 27 થયો છે.  આમ ચાર દિવસમાં મૃત્યુઆંકમાં બમણો વધારો થયો છે. 


રાજસ્થાનમાં પણ ચાંદીપુરાએ  હાહાકાર મચાવ્યો


આરોગ્ય વિભાગની ટીમ તરફથી અત્યાર સુધીમાં રાજ્યમાં 17 હજાર 248 ઘરમાં કુલ 1 લાખ 21 હજાર 826 વ્યકિતઓના સર્વેલન્સની કામગીરી કરાઈ છે. આ તરફ ગુજરાત અને તેને અડીને આવેલા મધ્યપ્રદેશ તથા રાજસ્થાનમાં પણ ચાંદીપુરાએ  હાહાકાર મચાવ્યો છે. ત્યારે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર મંત્રાલયે નિષ્ણાંતો સાથે ચર્ચા કરી હતી. ચાંદીપુરાના કેસો અને એક્યુટ એન્સેફેલાઈટીસ સિન્ડ્રોમના કેસોની સમીક્ષા કરી છે. 


ચાંદીપુરા વાયરસના લક્ષણો
ચાંદીપુરા વાયરસના કેસોમાં દર્દીને તાવ આવે છે, ઉલટી થાય, શ્વાસમાં તકલીફ પડે, મગજનો તાવ આવે જેવા લક્ષણો જોવા મળે છે. આ રોગના મહત્તમ લક્ષણો અન્ય વાયરસ જેવા જ હોય છે. જેથી પ્રાથમિક તબક્કે રોગની ઓળખ કરવામાં મુશ્કેલી પડે એમ છે. જોકે ચાંદીપુરા વાયરસ મોટાભાગે 10 વર્ષની નીચેના બાળકોમાં જ જોવા મળે છે. આ વાયરસ ખૂબ જ જીવલેણ છે, જેથી તેનો ભોગ બનેલાને જલદીથી ટ્રીટમેન્ટ મળવી જરૂરી છે. દર્દીઓમાં એન્સેફાલીટીસના લક્ષણો પણ દેખાવા લાગે છે, જેનાથી દર્દી કોમામાં પણ જઇ શકે છે.


ચાંદીપુરા વાયરસ ચેપની સારવાર - 
- ચાંદીપુરા વાયરસ માટે અત્યારે કોઈ ખાસ સારવાર નથી.
- જો કે, આ વાયરસ ખતરનાક છે અને તેના લક્ષણો એન્સેફાલીટીસ (મગજના તાવ) જેવા જ હોવાથી દર્દીએ જેટલી જલ્દી થાય તેટલી જલ્દીની ડોક્ટર સાથે મુલાકાત લેવી જોઈએ. 
- ચાંદીપુરા વાયરસથી બચવા માટે મચ્છર અને માખીઓથી બચવું અને તંદુરસ્ત ખોરાક લેવો મહત્વપૂર્ણ છે.
- ચોમાસામાં ખુલ્લામાં ઉપલબ્ધ ખોરાક પર માખીઓ બેસી જાય છે, જેના કારણે આ ખાદ્ય પદાર્થો તમને આ જીવલેણ રોગનો શિકાર પણ બનાવી શકે છે.
- આ વાયરસથી પોતાને બચાવવા માટે સ્વચ્છતા અને સાવચેતી જરૂરી છે.