છોટાઉદેપુર : નસવાડી તાલુકાની કુકરદા સરકારી માધ્યમિક શાળામાં મહિલા પ્રિન્સિપલે આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. શાળાના શૌચાલયમાં આચાર્યએ આત્મહત્યા કરી લીધી છે.  આચાર્ય ભાવનાબેન ડામોરનો શૌચાલયમાં ગળે ફાંસો લગાવેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. નસવાડી પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. 


મહિલા આચાર્યે આત્મહત્યા કરી હોવાની જાણ થતાં નાના એવા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ હતી તેમજ સ્કૂલ ખાતે મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા. મહિલાનો શૌચાલયની ગ્રીલ સાથે દુપટ્ટાથી ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. પોલીસે મૃતદેહ નીચે ઉતારી પીએમ માટે મૃતદેહ મોકલી આપ્યો છે. જોકે, મહિલા આચાર્યે કેમ આત્મહત્યા કરી તેનું કારણ જાણી શકાયું નથી. પોલીસ તપાસ પછી વધુ વિગતો સામે આવશે. 

Surat : પ્રેમલગ્ન કરનાર 32 વર્ષીય યુવતીની હત્યા કરાયેલી લાશ મળી આવતાં ખળભળાટ, કોણ છે આ યુવતી અને કોણે કરી હત્યા?


સુરતઃ શહેરના ઝાંપાબજાર ખાતે આવેલા વાઘેલા ચેમ્બર્સના ભોંયરામાંથી મળી આવેલી લાશ મામલે ચોંકાવનારી વિગતો સામે આવી છે. મળી આવેલી લાશ માનદરવાજાની 32 વર્ષીય શબાનાની હોવાનું સામે આવ્યું છે. શબાના ગત 10મી ના રોજ ચોકબજારમાં ઘરકામ માટે ગયા બાદ ગુમ થઈ હતી. પોલીસ તપાસમાં યુવતીની હત્યા કરીને લાશ ફેંકી દીધી હોવાનો પણ ખુલાસો થયો છે. જોકે, યુવતીની લાશ અહીં કેવી રીતે પહોંચી અને કોણે હત્યા કરી તે તો પોલીસ તપાસ પછી જ સામે આવશે. 


યુવતી છેલ્લે એક યુવક સાથે બાઇક પર જતાં સીસીટીવીમાં કેદ થઈ હતી. પોલીસે બાઈક્સવારની પુછપરછ કરતા તેણે શબાનાને અડાજણ પાટીયા ઉતારી હોવાનું જણાવ્યું હતું. નોંધનીય છે કે, રવિવારે વાઘેલા ચેમ્બર્સના ભોંયરામાંથી યુવતીની કોહવાયેલી લાશ મળી આવી હતી. પોલીસે તપાસ કરતાં યુવતીની ઓળખ શબાના જાવીદ સૈયદ ( ઉ.વ.32, રહે.માનદરવાજા, સુરત ) તરીકે થઈ હતી.  તેના ભાઈએ શબાનાના કપડા અને અન્ય વસ્તુને આધારે ઓળખ કરી હતી. 


શબાના ગત 10 મી જૂને  સવારે ચોકબજાર એ-વન કોકોની ગલીમાં સિલ્ક હાઉસ માર્કેટ પાસે કોઈ એપાર્ટમેન્ટમાં ઘરકામ પતાવી બપોરે દોઢ વાગ્યે નીકળી હતી પણ ઘરે પહોંચી નહોતી. આ અંગે અઠવા પોલીસે સીસીટીવી કેમેરા ચેક કરતા તે એક બાઈક ઉપર અજાણ્યા સાથે મક્કાઇપુલ તરફ જતી નજરે ચઢી હતી. જોકે, યુવતીની કોઈ ભાળ મળી નહોતી.


દરમિયાન ગત રવિવારે યુવતીની લાશ મળી આવી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં શબાનાની હત્યા માથામાં ઈજા થતા અને ગળું દબાવવાથી થઈ હોવાનો ખુલાસો થયો હતો. મહિધરપુરા પોલીસે તેના ભાઈની ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. 


યુવતીની લાશ મળી ત્યારે શબાનાના શરીર પર માત્ર કુરતી હતી. કુરતી અને મૃતકના પગમાં બાંધેલ દોરા પરથી તેની ઓળખ થઈ હતી. શબાનાએ પ્રેમ લગ્ન કર્યા છે. મૃતકનો પતિ તેના વતન મહારાષ્ટ્ર ગયો હોવાથી તેની પૂછપરછ કરી શકાઇ નથી.