અમદાવાદઃ વિશ્વવ્યાપી કોરોના વાયરસ કોવિડ-19ના સંક્રમણ સામેના જંગમાં રાજ્યના નાગરિકોની રોગપ્રતિકારક શકિત વધારવાના ઉદ્દેશથી ગુજરાત સરકારે કેન્દ્ર સરકારની આયુર્વેદ ફાર્મસી પાસેથી ગુજરાત માટે ૭ ટન આયુર્વેદ ઔષધનો જથ્થો ખાસ વિમાન મારફતે ગુજરાત માટે મગાવ્યો છે. સોમવારે આ દવાઓ અમદાવાદ આવી પહોંચી હતી.


ગુજરાત સરકારે જે દવાઓ મગાવી છે તેમાં માં ૨૪૯૦ કિ.ગ્રા. સંશમની વટી, ૧૪૪૦ કિ.ગ્રામ દશમૂલ કવાથ અને ૧૦ હજાર કિ.ગ્રામ આયુષ-૬૪ કેપ્સ્યુલનો સમાવેશ થાય છે. આ દવાઓ સામાન્યત: ૭ દિવસ માટે લેવાની હોય છે તે દ્રષ્ટિએ સાડા ચાર લાખથી વધુ લોકોને તેનો લાભ મળી શકશે તેવો અંદાજ છે.

કોરોનાના દર્દીઓને સારવાર ઉપરાંત તેમનામાં રોગ પ્રતિકાર શક્તિ વધારવાની બાબતને પણ વૈશ્વિક સ્વીકૃતિ મળી છે ત્યારે માનવ શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારનારી આયુર્વેદિક દવાઓનો વપરાશ વધ્યો છે.

ગુજરાતમાં આ આયુર્વેદિક દવાઓ સીધી અને ઉકાળા સ્વરૂપે આપવાની પ્રક્રિયા સાર્વત્રિક બનાવાઈ છે ત્યારે રાજ્યમાં આ આયુર્વેદિક દવાનો જથ્થો જળવાઈ રહે તે માટે વધુ ૭ ટન આયુર્વેદિક દવાઓ ગુજરાતમાં મગાવામાં આવી છે.

અત્યાર સુધીમાં ગુજરાત સરકારની આયુષ નિયામક તંત્ર દ્વારા ૧ કરોડ ૭૯ લાખ જેટલા ડોઝ રોગપ્રતિરોધક ઊકાળાના નાગરિકોને આપવામાં આવ્યા છે. એટલું જ નહિ, સંશમની વટી ગોળીનો લાભ ૧૩.૩૦ લાખ લોકોએ તેમજ આર્સેનિકમ આલબ્મ-૩૦ પોટેન્સિ નો ૧ કરોડ પ લાખ લોકોએ લાભ મેળવ્યો છે.

રાજ્યમાં કોવિડ કેર સેન્ટરમાં એસિમ્ટોમેટીક ૧ર૧૧ દર્દીઓને આયુર્વેદ સારવાર અપાય છે અને ૪ર૭ દર્દીઓ તો સાજા પણ થયા છે. આયુર્વેદના રોગપ્રતિકારક ઊકાળા અમૃત પેયનું પ૬૮ સરકારી આયુર્વેદ દવાખાના તથા ૩૮ હોસ્પિટલ દ્વારા રાજ્યમાં વિતરણ કરાય છે.

ગુજરાત સરકારે અમદાવાદમાં બે લાખ ઘરોમાં આવી રોગ પ્રતિકારક શક્તિ વધારનાર આયુર્વેદ દવા – સંશમની વટી અને હોમિયોપેથી દવા આર્સેનિક આલ્બમ-30નું આયોજનબદ્ધ  ડોર ટુ ડોર સુધી વિતરણ કરવાનું આયોજન કર્યું છે.

હવે, રાજ્યમાં આ આયુર્વેદ દવાઓનો વધારાનો જથ્થો આવી પહોંચતા વધુને વધુ લોકોને લાભ આપીને રોગપ્રતિકારક શકિત વધારી કોરોના સામેની લડાઇ સહિયારી તાકાતથી જીતવામાં નવું  બળ મળશે.