વડોદરાઃ વડોદરાના સોખડા સ્વામિનારાયણ મંદિરનો વિવાદ વધુ વકર્યો  છે. મંદિરમાં સંતોના જૂથવાદને લઈને હરિભક્તો પરેશાન થઈ રહ્યા છે. સોખડા મંદિરના પ્રવેશદ્વાર પર નોટિસ લગાવી દ્વાર જ બંધ કરી દેવામાં આવતા હરિભક્તો પરેશાન થયા છે. મંદિરના દરવાજા બંધ કરી દેવામાં આવતા મંદિરની બહાર હરિભક્તોની મોટી સંખ્યામાં ભીડ એકઠી થઇ હતી.


જો કે, મંદિરમાં તેમને પ્રવેશ ન અપાતા દુઃખી થયા છે. મંદિરની બહાર બેસી જ હરિભક્તોએ ભગવાન સ્વામિનારાયણનો જાપ શરૂ કર્યો હતો. મંદિરમાં પ્રવેશવા સમયે ચેકિંગ કરાતા એક હરિભક્ત અને સિક્યુરિટી ગાર્ડ વચ્ચે તકરાર થઈ હતી. તો સંતોના વિવાદ વચ્ચે પોલીસ પણ મંદિરમાં પહોંચી.  હરિપ્રસાદ સ્વામીના નિધન બાદ સોખડા હરિધામ પ્રેમસ્વરુપ સ્વામી અને પ્રબોધ સ્વામી જૂથમાં ફેરવાઈ ગયું છે. પ્રબોધ સ્વામી અને તેમના જૂથના સંતોએ હરિધામ છોડવાની જાહેરાત કરી છે. મંદિર મેનેજમેંટે નોટિસ લગાવી ફરમાન કર્યું કે કાયદાકીય પૂર્ણ કર્યા વિના મંદિર છોડી શકાય નહીં. વિવાદને પગલે મંદિરનો એક જ ગેટ ખુલ્લો રખાયો છે અને ત્યાં બાઉન્સર તહેનાત કરી દેવાયા હતા.


વીર નર્મદ યુનિવર્સિટીમાં સેમેસ્ટર -6ના પેપર ફૂટ્યાનો આરોપ, પાંચ પેપર કરાયા રદ


સુરતઃ દક્ષિણ ગુજરાત વીર નર્મદ યુનિવર્સિટીમાં ઇકોનોમિક્સ સેમેસ્ટર-છનું પેપર ફૂટ્યાના આરોપ લગાવવામાં આવ્યા છે. મળતી જાણકારી અનુસાર દક્ષિણ ગુજરાત વીર નર્મદ યુનિવર્સિટીમાં પેપર ફૂટ્યાના આરોપ વચ્ચે પાંચ પેપર રદ કરવામાં આવ્યા છે. પેપર લીક થયાનું નહી પરંતુ માનવ ભૂલ ગણાવી વીસીએ પેપર રદ કર્યા હતા.


વીસીએ દાવો કર્યો હતો કે પ્રશ્નપત્રના પેપર ભૂલથી ખુલી જતા પેપર રદ કરવામાં આવ્યા છે. કેટલાક વિદ્યાર્થીઓ પાસે ઇકોનોમિક્સ સેમેસ્ટર-6ના સવાલો ફરતા થયા હતા.પરીક્ષાના અડધા કલાક પહેલા પેપર લીક થયાની રજૂઆતનો ભાવેશ રબારીએ દાવો કર્યો હતો. સેનેટ સભ્ય ભાવેશ રબારીએ દાવો કર્યો હતો કે વાડીયા વિમેન્સ કોલેજમાંથી પેપર ફૂટ્યુ છે. રદ કરાયેલા પાંચ પેપરની નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરાશે.