રાજયમાં કોરોનાનું સંક્રમણ ઘટતા હોસ્પિટલ પરનું ભારણ પણ ઘટ્યું છે. વાત અમદાવાદ સિવિલની કરીએ તો, અહીં 1200 બેડની કોવિડ હોસ્પિટલમાં હાલ 83 દર્દીઓ જ સારવાર હેઠળ છે. અમદાવાદ શહેરમાં કોરોનાનું સંક્રમણ વધતા સિવિલ હોસ્પિટલ ઉપરાંત અન્ય સરકારી હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે વ્યવસ્થા કરવાની ફરજ પડી હતી.


જો કે, હાલ સિવિલ હોસ્પિટલમાં કોવિડની સારવાર માટે જે 26 વોર્ડ કાર્યરત હતા તેમાંથી 22 વોર્ડ બંધ કરી દેવાયા છે. છેલ્લા પંદર દિવસથી સિવિલમાં સારવાર લઈ રહેલા લોકોની સંખ્યા 90 કરતા ઓછી નોંધાઈ છે. હાલ 83 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે તેમાં 3 દર્દીઓ વેન્ટિલેટર પર છે. તો 6 બાયપેપ પર અને 35 દર્દી ઓક્સિનજ પર છે.

નોંધનીય છે કે, રાજ્યમાં કોરોનાના કેસમાં ઉત્તરોત્તર ઘટાડો જોવા મળી રહ્યો છે. ગઈકાલે કોરોના વાયરસના 451 નવા કેસ નોંધાયા હતા. જ્યારે કોરોના સંક્રમણના કારણે વધુ 2 દર્દીના મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક 4374 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 5240 એક્ટિવ કેસ છે, જ્યારે અત્યાર સુધી કુલ 2,48,650 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 51 દર્દી વેન્ટીલેટર પર છે અને 5189 લોકો સ્ટેબલ છે.


ક્યા કેટલા દર્દીના થયા મોત ?

રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 1 અને ડાંગમાં એક દર્દીના મોત સાથે કુલ 2 લોકોના કોરોનાથી મોત નીપજ્યું હતું.

ક્યાં કેટલા નોંધાયા કેસ

અમદાવાદ કોર્પોરેશનમાં 88, સુરત કોર્પોરેશનમાં 78, વડોદરા કોર્પોરેશનમાં 69, રાજકોટ કોર્પોરેશનમાં 36, વડોદરા 23, સુરત 18, કચ્છ 15, રાજકોટ-15, ભરુચ-11, પંચમહાલ-8, દાહોદ-7, સાબરકાંઠા-7, ગાંધીનગર-6, ગાંધીનગર કોર્પોરેશન-6, ગીર સોમનાથ-6, ખેડા-6, મોરબી-6, અમરેલી-5, આણંદ-5 અને જામનગર કોર્પોરેશનમાં 5 કેસ નોંધાયા હતા.

આજે કેટલા દર્દી થયા સાજા

રાજ્યમાં આજે કુલ 700 દર્દીઓ સાજા થયા હતા. રાજ્યમાં સાજા થવાનો દર 96.28 ટકા છે.

અત્યાર સુધી કેટલા લોકોને અપાઈ કોરોના રસી 
રાજ્યમાં આજે 11,352 લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે. અત્યાર સુધી કુલ 47,203 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.