ગુજરાતમાં કોરોનાથી થયેલા મૃત્યુનો આંક હવે ૪ હજારને પાર થઇ ગયો છે. ગુજરાતમાં ૨,૧૧,૨૫૭ કેસ સામે ૪૦૦૪ વ્યક્તિ જીવ ગુમાવી ચૂકી છે. આમ, કોરોનાથી સૌથી વધુ મૃત્યુદર ધરાવતા રાજ્યોમાં ૧.૮૯% સાથે ગુજરાત ચોથા સ્થાને છે. એક રીતે કહી શકાય કે ગુજરાતમાં પ્રત્યેક ૧૦૦ કેસમાં અંદાજે બે વ્યક્તિને કોરોના ભરખી જાય છે.


પંજાબ સૌથી વધુ ૩.૨૦%નો મૃત્યુદર ધરાવે છે. કોરોનાથી સૌથી વધુ મૃત્યુ થયા હોય તેવા રાજ્યોમાં ગુજરાતનો નવમો ક્રમ છે. મહારાષ્ટ્રમાંથી સૌથી વધુ ૪૭,૧૫૧ વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા છે. ગુજરાતમાં કોરોનાથી જે મૃત્યુ થયા છે તેમાંના ૨૦૭૦ એટલે કે ૫૧.૨૫% માત્ર અમદાવાદ જિલ્લામાંથી છે. ૪.૧૩% સાથે કોરોનાથી મૃત્યુદર પણ અમદાવાદમાં જ વધારે છે.

એકમાત્ર ડાંગ એવો જિલ્લો છે જ્યાં હજુ સુધી કોરોનાથી એકપણ મૃત્યુ નોંધાયું નથી. આ સિવાય નર્મદામાં સૌથી ઓછા ૧, છોટા ઉદેપુરમાં ૩ના, પોરબંદરમાંથી ૪ના જ્યારે દેવભૂમિ દ્વારકામાંથી ૫ સાથે કોરોનાથી સૌથી ઓછા મૃત્યુ નોંધાયા છે.

ગુજરાતમાં કોરોનાથી જે કુલ મૃત્યુ થયા છે તેમાંના ૭૯.૨૫% માત્ર અમદાવાદ-સુરત-વડોદરામાંથી છે. ગુજરાતમાં કોરોનાથી પ્રથમ ૧ હજાર મૃત્યુ ૬૨ દિવસમાં જ થયા હતા. જોકે, સપ્ટેમ્બર બાદ કોરોનાથી થતાં મૃત્યુઆંકમાં ઘટાડો થવા લાગ્યો છે. કોરોનાથી સૌપ્રથમ મૃત્યુ ૨૯ માર્ચના નોંધાયું હતું.

આ પછી ૫૦૦મું મૃત્યુ ૪૩ દિવસ બાદ નોંધાયું હતું. ૫૦૦થી ૧ હજારમા મૃત્યુ માટે ૧૯ દિવસનો જ્યારે ૧ હજારથી ૧૫૦૦મા મૃત્યુ માટે ૧૬ દિવસનો સમય થયો હતો. ૧૫૦૦થી ૨ હજાર મૃત્યુ ૨૪ જ્યારે ૨ હજારથી ૨૫૦૦ મૃત્યુ ૨૫૦૦ દિવસમાં પૂર્ણ થયા હતા. જેની સરખામણીએ ૩૫૦૦થી ૪ હજાર મૃત્યુ માટે ૫૭ દિવસનો સમય થયો છે. મે મહિનામાં સૌથી વધુ ૮૩૦, જૂનમાં ૮૦૪ વ્યક્તિએ કોરોનાથી જીવ ગુમાવ્યો હતો.