Cyclone Biparjoy Live Updates: દિવના દરિયાનું રૌદ્ર રૂપ, ખુકરી નજીક દરિયો બન્યો ગાંડોતૂર

ગુજરાતના દરિયાકાંઠાની વાવાઝોડાના અંતરમાં  વધારો થયો છે. જોકે બિપરજોય વાવાઝોડાનો ખતરો યથાવત છે

gujarati.abplive.com Last Updated: 14 Jun 2023 01:45 PM
અંબાલાલ પટેલની આગાહી

વાવાઝોડાને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કેટલીક આગાહી કરી છે. અંબાલાલે જણાવ્યું કે. “બિપરજોય વાવાઝોડું આવતીકાલે એટલે 15 જૂને 4થી 8 સુધીમાં લેન્ડફોલ કરશે અને વાવાઝોડા દરમિયાન પવનની ગતિ ભારે રહેવાથી તેને હળવાશથી લેવાની ભૂલ ન કરવી.  વાવાઝોડું હવે  ગુજરાતથી દુર ફંટાવાની શક્યતા નહીંવત છે. તેથી સાવધાન રહેવું જરૂરી છે. વાવાઝોડુ કદાચ ફંટાઇ જાય તો પણ નુકસાને નકારીન  શકાય કારણ કે કચ્છ અને સૌરાષ્ટ્રમાં તેની અસર જોવા મળશે. આ વાવાઝોડું અતિભીષણ છે”

આવતીકાલે ગુજરાતના દરિયા કાંઠે ટકરાશે

સૌથી ખતરનાક રૂપ લઇ રહેલા બિપરજૉય વાવાઝોડાથી હવે ગુજરાત માટે ખતરો ઉભો થયો છે. હવામાન વિભાગે આવતીકાલે બિપરજૉય ગુજરાતના દરિયા કાંઠે ટકરાવવાની આગાહી કરી છે. 
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, બિપરજૉય વાવાઝોડુ આવતીકાલે ગુજરાતના દરિયા કાંઠે ટકરાશે. આ દરમિયાન ભારે પવન ફૂંકાઇ શકે છે, અને તેની ઝડપી 150 કિમીની રહેશે. હવામાન વિભાગ અનુસાર, બિપરજૉય વાવાઝોડું આવતીકાલે 4 થી 8માં ટકરાઇ શકે છે. માંડવી અને કરાંચીની વચ્ચેથી વાવાઝોડું પસાર થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. વાવાઝોડું પસાર થશે ત્યારે પવનની ગતિ 150 કિ.મીની રહેવાની આગાહી કરવામાં આવી છે. વાવાઝોડું પસાર થતા જ કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે. કચ્છના મોટા અને નાના રણમાં પ્રચંડ આંધી પણ ફૂંકાઇ શકે છે. આ વાવાઝોડુંથી અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થવાની ઘટના ઘટી શકે છે.

ગીર સોમનાથમાં 492 વીજ થાંભલા ધરાશાયી

બિપરજૉય વાવાઝોડાએ કેર મચાવવાનો શરૂ કરી દીધો છે. છેલ્લા બે-ત્રણ દિવસથી ભારે પવન ફૂંકાવવાના કારણે અનેક જગ્યાએ મોટુ નુકશાન પહોંચ્યુ છે. ગુજરાતના દરિયા કાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઇ રહ્યો છે અને આ બધાની વચ્ચે એક લેટેસ્ટ અપડેટ પ્રમાણે, ગીર સોમનાથમાં 492 વીજ થાંભલા ધરાશાયી થયા હોવાના અહેવાલ મળ્યા છે. 

મુંબઈના મરીન ડ્રાઈવ પર ઉંચા મોજા ઉછળ્યા

તોફાન બિપરજોય ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડાની અસર  મહારાષ્ટ્રમાં પણ જોવા મળી રહી છે. મુંબઈના મરીન ડ્રાઈવ પર ઊંચા મોજા ઉછળી રહ્યા છે.


 





જામનગર BAPS સંસ્થાએ ફૂડ પેકેટ બનાવી મોકલ્યા

બિપરજોય ચક્રવાતના પગલે લોકોની મદદ માટે  ધાર્મિક સંસ્થા આગળ આવી છે. જામનગર BAPS સંસ્થાએ ફૂડ પેકેટ બનાવી મોકલવાનું શરૂ કર્યું હતું. જામનગર સ્વામિનારાયણ સંસ્થાએ 1500 ફૂડ પેકેટ બનાવી જામનગર મહાપાલિકાને સુપરત કર્યા હતા. જરૂરિયાતમંદ લોકો સુધી જામનગર મહાપાલિકા આ ફૂડ પેકેટ પહોંચાડશે

ડુમસ અને સુંવાલી બીચ પર પ્રતિબંધ લંબાવાયો

વાવાઝોડાને પગલે સુરત પોલીસ કમિશ્નરે જાહેરનામું બહાર પાડ્યું છે. ડુમસ અને સુંવાલી બીચ પર પ્રતિબંધ લંબાવાયો હતો. હવે તારીખ 14 થી 16 જૂન સુધી બીચ પર લોકોના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે. બીચ પર લોકોની અવરજવર અને માછીમારોને દરિયાના પાણીમાં ન જવા પ્રતિબંધ ફરમાવાયો હતો. 

ભૂજમાં કંટ્રોલરૂમ શરૂ કરાયો

બિપરજોય વાવાઝોડાના પગલે ભૂજમાં કંટ્રોલરૂમ શરૂ કરાયો હતો. બે કંટ્રોલરૂમ શરૂ કરી આફતને ખાળવા માટે સરકારી પ્રશાસનના પ્રયાસો કરાયા હતા. આગામી વાવાઝોડાની સ્થિતિમાં કંટ્રોલરૂમ 24 કલાક ચાલુ રખાશે. કલેકટર અને મામલતદારને દર એક કલાકે વરસાદની માહિતી પૂરી પાડવી ફરજિયાત રહેશે. એસટી બસની ફ્રિકવન્સી, સીટી બસ અને રેલવે અંગેની જાણકારી નાગરિકો મેળવી રહ્યા છે.

દ્વારકામાં પ્રશાસનની સતર્કતા જોવા મળી

બિપરજોય વાવાઝોડાને લઈને દ્વારકામાં પ્રશાસનની સતર્કતા જોવા મળી હતી. દ્વારકામાં દૂરદર્શન કેન્દ્ર કેન્દ્રનો જોખમી ટાવર દૂર કરવામાં આવ્યો હતો. બે દિવસ અગાઉ ક્ષતિગ્રસ્ત થયેલા મહાકાય ટાવરને દૂર કરવામાં આવ્યો હતો. ભારે પવનથી દુર્ઘટના ન સર્જાય તે માટે કાર્યવાહી કરવામાં આવી હતી

પશ્ચિમ રેલવેએ 69 ટ્રેન કેન્સલ કરી

પશ્ચિમ રેલવેએ 69 ટ્રેન કેન્સલ કરી છે. જ્યારે 32 રૂટ ટુંકાવ્યા છે. જ્યારે 26 ટ્રેન શોર્ટ ઓરજીનિટેટ કરી છે. આજે ગાંધીધામ-પુરી સુપર ફાસ્ટ એક્સપ્રેસ અમદાવાદથી ઉપડશે. જ્યારે અમદાવાદ-ગાંધીધામ વચ્ચે આ રેલનો વ્યવહાર બંધ રહેશે. 12 જૂનના ઉપડનારી ભાગલપુર-ગાંધીધામ સ્પેશલ ધ્રાંગધ્રા, પુરી-ગાંધીધામ અમદાવાદ, માતા વૈષ્ણોદેવી કટારા-હાપા સર્વોદય એક્સપ્રેસ હવે હાપા સુધી જ દોડશે

ભારે વરસાદની ચેતવણી

14મી જૂને સૌરાષ્ટ્ર અને કચ્છના કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, જૂનાગઢ અને મોરબી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ સાથે મોટાભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અને છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદની સંભાવના છે

બિપરજોય વાવાઝોડું 5 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું

હવામાન વિભાગે લેટેસ્ટ બુલેટીન જાહેર કર્યું છે, જે અનુસાર બિપરજોય વાવાઝોડું 5 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. કચ્છના જખૌ પોર્ટથી દક્ષિણ પશ્ચિમમાં 290 કિ.મી દૂર છે વાવાઝોડું. દેવભૂમિ દ્વારકાથી પશ્ચિમ - દક્ષિણપશ્ચિમમાં 300 કિ.મી દુર છે તો કચ્છના નલિયાથી પશ્ચિમ - દક્ષિણપશ્ચિમમાં 310 કિ.મી દૂર છે

હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું

બિપરજોય વાવાઝોડું 15 જૂને ગુજરાતના માંડવી અને પાકિસ્તાનના બંદર શહેર કરાચી વચ્ચે પહોંચશે. તે ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી પસાર થવાનું અનુમાન છે. ભારતીય હવામાન વિભાગે તોફાનને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

બ્રેકગ્રાઉન્ડ

ગાંધીનગરઃ ગુજરાતના દરિયાકાંઠાની વાવાઝોડાના અંતરમાં  વધારો થયો છે. જોકે બિપરજોય વાવાઝોડાનો ખતરો યથાવત છે.  15 જૂને સાંજ સુધીમાં બિપરજોય વાવાઝોડું ટકરાશે. વાવાઝોડાની ગતિ ઘટીને 5 કિમી પ્રતિ કલાક થઈ ગઇ છે. વાવાઝોડા પહેલા આજથી પાંચ દિવસ વરસાદ વરસશે. સૌરાષ્ટ્ર- કચ્છમાં તોફાની પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. બિપરજોય વાવાઝોડુ દેવભૂમિ દ્વારકાથી 300 કિમી, પોરબંદરથી 340 કિમી, જખૌ પોર્ટથી 310 કિમી, નલિયાથી 330 કિમી દૂર છે.


કચ્છના જખૌ બંદર પરથી તમામને સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે.  જખૌમાં 522 બોટને સુરક્ષિત સ્થળે કાંઠા પર રખાઈ છે.  બોટ રિપેરિંગનું કામ કરનાર 100 કારીગરોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે. કંડલામાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે.  કચ્છમાં માંડવીનો દરિયો તોફાની બન્યો છે.  માંડવી દરિયાકિનારે ભારે પવન ફુંકાવાનો  શરૂ થયો છે.  દરિયાના મોજામાં પણ ભારે કરંટ જોવા મળ્યો છે.  ભારે પવનના કારણે માંડવી બંદર ઉપર આવેલ ખાણીપીણાંનાં સ્લોટોના પતરા પણ ઉડ્યો છે.  આજે કચ્છમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. 


બિપરજોય વાવાઝોડાને  લઈને જખૌ બંદર પર પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે. જખૌ બંદર પર જવા પર પ્રતિબંધ મુકવામા આવ્યો છે.  રાઉન્ડ ધ ક્લોક બંદરના રસ્તા પર પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. માંડવી બંદર પર ભારે પવન ફૂંકાયો છે.  


આગામી 5 દિવસ સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી


બિપરજોય વાવાઝોડાને લઈને ગુજરાતમાં હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર  આગામી 5 દિવસ સમગ્ર ગુજરાતમાં વરસાદ પડશે. જેમાં સૌરાષ્ટ્ર કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. આવતીકાલથી કચ્છ,દ્વારકા અને ગુરુવારે દ્વારકા સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની આગાહી છે. તો આગામી પાંચ દિવસ સુધી 135 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ઘણા જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે.


અમદાવાદ શહેરમાં પણ વરસાદની આગાહી


આ સિવાય ગુજરાતમાં અનેક જિલ્લામાં વરસાદી વાતાવરણ રહેશે.  અમદાવાદ શહેરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.  જામનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.


ગીર સોમનાથમાં ભારે પવન સાથે વરસાદ


પોરબંદરના બરડા પંથકમાં ધોધમાર વરસાદ શરુ થયો છે.  બખરલા,બગવદર,મઢવાડા,મજાવાણા,સહિત ગામોમાં વરસાદ વરસ્યો છે.  વરસાદની સાથે ભારે પવન જોવા મળી રહ્યો છે.  ગીર સોમનાથ જિલ્લાના અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસ્યો છે.  સોમવારથી સતત વરસાદી માહોલથી ખેતરો છે. દેવકા નદીમાં નવા નીર આવ્યા છે. જિલ્લાના તળાવો અને ચેકડેમ પણ છલકાયા છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.