ગાંધીનગરઃ અરબી સમુદ્રમાં Biporjoy વાવાઝોડું વિકરાળ બન્યું છે. સમગ્ર ગુજરાત અને મહારાષ્ટ્રના તમામ બંદરો પર બે નંબરના સિગ્નલ લગાવાયા હતા. જોકે Biporjoy વાવાઝોડું ઓમાન તરફ ફંટાય તેવી શક્યતા છે. પરંતુ જો વાવાઝોડું દિશા બદલશે તો ગુજરાત પર ત્રાટકવાની સંભાવના છે. સમગ્ર ગુજરાત અને મહારાષ્ટ્રના બંદરો પર બે નંબરના સિગ્નલ લગાવાયા હતા.






હવામાન વિભાગના મતે પવન અને વાવાઝોડાની અસરને કારણે 11 જૂન સુધીમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારમાં વરસાદની સંભાવના છે. 14 જૂન સુધી ગુજરાતના માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે. Biporjoy વાવાઝાડાને પગલે ભાવનગર બંદર પર સિગ્નલ બદલાયા હતા. ઘોઘા, અલંગ, તળાજા અને મહુવા બંદર પર બે નંબરના સિગ્નલ લગાવાયા હતા. તો દરિયામાં પણ કરંટ જોવા મળ્યો હતો.


વાવાઝોડું ત્રાટકવાની સંભાવનાને જોતા આજે સુરતના સુંવાલી અને ડુમસ દરિયા કિનારાને સહેલાણીઓ માટે બંધ કરાશે. જિલ્લા પ્રશાસન તરફથી સૂચના આપવામાં આવી છે. કોઈ પણ વ્યક્તિ દરિયા કિનારે ન જાય તે માટે ખાસ તકેદારી રખાશે.


ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ તોફાન બિપરજોય ગુરુવારે (8 જૂન) તેનું ગંભીર સ્વરૂપ બતાવી શકે છે. 9મી જૂને પણ ભારે સ્વરૂપ ધારણ કરે તેવી શક્યતા છે. તેની સીધી અસર કેરળ-કર્ણાટક અને લક્ષદ્વીપ-માલદીવના દરિયાકાંઠે જોવા મળશે. આ સાથે કોંકણ-ગોવા-મહારાષ્ટ્રના દરિયાકાંઠે 8 થી 10 જૂન સુધી દરિયામાં ખૂબ ઊંચા મોજા ઉછળવાની સંભાવના છે.


હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, તોફાન કેરળના કાંઠા તરફ આવતા ચોમાસાના આગમનને ગંભીર અસર કરી શકે છે. જો કે, કેરળમાં 8 કે 9 તારીખે ચોમાસું પહોંચી શકે છે. પરંતુ માત્ર હળવો વરસાદ થવાની સંભાવના છે. હવામાનશાસ્ત્રીઓનું કહેવું છે કે ગંભીર ચક્રવાતી તોફાન વધુ તીવ્ર બને તેવી શક્યતા છે અને બિપરજોય તોફાન આગામી ત્રણ દિવસ દરમિયાન ઉત્તર તરફ આગળ વધશે.


ભારતીય હવામાન વિભાગે ગુજરાતમાં બિપરજોયને લઈને એલર્ટ જાહેર કર્યું છે. આ ચક્રવાતી તોફાન ગુજરાતના પોરબંદરથી દક્ષિણ-પશ્ચિમમાં લગભગ 1,060 કિમી દૂર છે. બીજી તરફ રાજ્ય સરકારનું કહેવું છે કે તે કોઈપણ કુદરતી આફતની પરિસ્થિતિનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.