અમદાવાદઃ ગુજરાત પર તૌકતે નામના વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. વાઝોડાની શક્યતાના પગલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખડેવા અને દરિયાકાંઠાના વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યું છે. એનડીઆરએફની ટીમો પણ તૈનાત કરવામાં આવી છે.  વાવાઝોડાના કારણે તા. 16 અને 18 મેના રોજ સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતાઓ રહેલી છે. કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા અને વાદળ છાયું વાતાવરણ રહે તેવી શક્યતા છે. હાલમા ખેતરમાં ઉભા પાક જેવા કે લસણ, ઉનાળુ બાજરી, ઘાસચારો, શાકભાજી અને કઠોળ વગેરે પાકોમાં ખેડૂતોને સાવચેતી અને સલામતીના પગલા લઈ ખેતી પાકોમાં જોખમ ઘટાડવા કાળજી લેવી આવશ્યક છે. વાવાઝોડું આવે તે પહેલા કેવી તૈયારી કરવી, વાવાઝોડા દરમિયાન કેવા તકેદારીના પગલા લેવા અને વાવાઝોડા પછી શું કરવું તે અંગે જાણીએ.


વાવાઝોડા પહેલાની તૈયારી



  •  રહેઠાણની મજબૂતીની ખાતરી કરી લો અને બાંધકામને લગતી ક્ષતિઓ દૂર કરો

  •  સમાચારો અને ચેતવણીઓ સતત સાંભળતા રહો

  •  સ્થાનિક અધિકારીઓના સતત સંપર્કમાં રહેવા પ્રયત્ન કરો

  •  ઢોર-ઢાંખરને ખૂંટાથી છુટા કરી રાખો

  •  માછીમારોએ દરિયામાં જવું નહીં, બોટ સલામત સ્થળે લાંગરવી

  •  અગરિયાઓએ સલામત સ્થળે ખસી જવું

  •  આશ્રય લઈ શકાય તેવા ઉંચા સ્થળો ધ્યાન રાખો

  •  સુકો નાસ્તો, પાણી, ધાબળા, કપડાં અને પ્રાથમિક સારવારની કીટ સાથે રાખો

  •  અગત્ય ટેલીફોન નંબર હાથ વગા રાખો

  •  વાવાઝોડાથી વીજ પુરવઠો ખોરવાવાની શક્યતા હોય છે ત્યારે હોસ્પિટલ્સ અને ઈમરજન્સી સેવાઓ આપતી સંસ્થાએ જનરેટર મેન્ટેનન્સ કરાવી રાખવા સાથે જ આવશ્યક ડીઝલનો જથ્થો રાખવો પણ જરૂરી.


વાવાઝોડા દરમિયાન તકેદારીના પગલા



  • જર્જરીત મકાન કે વૃક્ષ નીચે આશ્રય ન લેવા માટે સમજ આપવી.

  • સમાચાર સાંભળતા રહો અને સૂચનાઓનો અમલ કરો.

  • વાવાઝોડા સમયે બહાર નીકળવાનું સાહસ કરવું નહીં.

  • વાવાઝોડાના સમયે રેલ મુસાફરી કે દરિયાઇ મુસાફરી હિતાવહ નથી.

  • વીજ પ્રવાહ તથા ગેસ કનેક્શન બંધ કરી દેવા સલાહ આપી આપવી.

  • દરિયા નજીક, ઝાડ નીચે કે વીજળીના થાંભલા કે લાઈનો નજીક ઊભા રહેશો નહીં.

  • વીજળીના થાંભલાથી દૂર રહેવા સલાહ આપવી.

  • માછીમારોને દરિયામાં જતા રોકવા અને હોડીઓ સલામત સ્થળે રાખવી.

  • અગરિયાઓ અગરો છોડી સલામત સ્થળે આશરો લેવો.

  • ખોટી અથવા અધૂરી જાણકારી વાળી માહિતી અર્થાત અફવા ફેલાવતી અટકાવો, આધારભૂત સૂચનાઓને અનુસરો.


વાવાઝોડા બાદ કરવાની કાર્યવાહી



  • બચાવ કામગીરી માટે ફાયર બ્રિગેડ, પોલીસ મ્યુનિસિપાલિટી કંટ્રોલરૂમ તથા તમામ અધિકારીઓની મદદ લેવી.

  • અસરગ્રસ્તોની મદદ કરવી બચાવ કરવો, સલામત સ્થળે લઈ જવા.

  • જરૂર પડે તબીબી સારવાર તાત્કાલીક મળી રહે તેવી વ્યવસ્થા કરવી.

  • ભારત સરકારશ્રીના હવામાન ખાતા તરફથી મળતી આગાહીઓ અને અનુસરવું તથા સતત સંપર્કમાં રહેવું.

  • અસરગ્રસ્તોને જરૂરી મદદ ઉપલબ્ધ કરાવવી