Cyclone Update: રાજ્યમાં બિપરજૉય વાવાઝોડાના કારણે સ્થિતિ ખરાબ થઇ રહી છે, દરિયાકાંઠાના વિસ્તારોમાં ધીમે ધીમે વાતાવરણમાં પલટો આવી રહ્યો છે, અને દરિયામાં ઉંચા ઉંચા મોજા ઉછળી રહ્યાં છે. દરિયામાં ભારે કરંટ અને લોકોની અવરજવર પર નજર રાખવા માટે વહીવટી તંત્ર એક્શનમાં આવ્યુ છે. કચ્છમાં બિપરજૉયની અસર સૌથી વધુ હોવાથી હવે ભૂજમાં તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે કન્ટ્રૉલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. 


બિપરજૉય વાવાઝોડાની ભયંકર અસરને ધ્યાનમાં રાખીને ભુજમાં કન્ટ્રૉલ રૂમ શરૂ કરી દેવાયો છે. અહીં બે કન્ટ્રૉલ રૂમ દ્વારા કુદરતી આફતને ખાળવા માટે સરકારી તંત્રએ પ્રયાસો કરી શરૂ કરી દીધા છે. બિપરજૉય વાવાઝોડાના કારણે કન્ટ્રૉલ રૂમ 24 કલાક ચાલુ રખાશે. કલેકટર અને મામલતદારને દર એક કલાકે વરસાદની માહિતી પૂરી પાડવી ફરજિયાત રહેશે. એસટી બસની ફ્રિકવન્સી, સીટી બસ તેમજ રેલવે અંગે નાગરિકો માહિતી મેળવી રહ્યાં છે. કલેકટર કચેરી ખાતેના કન્ટ્રૉલ રૂમ પરથી સીધી કલેકટર અને મામલતદાર તેમજ પ્રભારી મંત્રીઓની નજર રહેશે. 


વાવાઝોડું બિપરજૉયને લઈને ગુજરાતમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એવી આશંકા છે કે અરબી સમુદ્રમાંથી આવતું આ વાવાઝોડું થોડા દિવસોમાં ગુજરાતમાં લેન્ડફૉલ કરશે. આ વાવાઝોડું ખૂબ જ ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે, જેની ચેતવણી હવામાન વિભાગ દ્વારા સતત આપવામાં આવી રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે (13 જૂન) વાવાઝોડુ બિપરજૉયની તૈયારીઓની સમીક્ષા બેઠક પણ યોજી હતી.


 


ગુજરાતના આઠ જિલ્લામાં બિપરજોય વાવાઝોડાની દહેશત, મહારાષ્ટ્ર- ગુજરાતમાં આટલા લોકોના થયા મોત


ગાંધીનગરઃ બિપરજોય વાવાઝોડાએ ફરી એકવાર દિશામાં પરિવર્તન થયો છે. વાવાઝોડુ પાંચ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. બિપરજોય વાવાઝોડુ જખૌથી ફક્ત 290 કિલોમીટર દૂર છે. વાવાઝોડુ 15 જૂનના રોજ ગુજરાત પર ત્રાટકે તેવી શક્યતા છે. સાયક્લોન બિપરજોય પહેલા ગુજરાત-મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં તોફાની પવનો સાથે ભારે વરસાદ વરસી રહ્યો છે. વાવાઝોડા અગાઉ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પાંચ લોકોના મોત થયા છે. વાવાઝોડા અગાઉ સુરક્ષા અને સલામતીના ભાગરુપે 8 જિલ્લામાંથી અત્યાર સુધીમાં 37 હજાર 794 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.


વાવાઝોડાની સૌથી વધારે અસર કચ્છ, પોરબંદર, જૂનાગઢ, જામનગર, દેવભૂમિ-દ્વારકા, ગીર-સોમનાથ, મોરબી અને રાજકોટ સહિત આઠ જિલ્લા પર થશે. તો સંભવિત સ્થિતિ ધ્યાનમાં રાખીને રાજ્યમાં સેવા યજ્ઞ પણ શરૂ થયા છે. રાજ્ય સરકારની સાથે સામાજિક સંસ્થાઓ પણ મેદાને આવી છે. રાજ્યમાં અનેક ઠેકાણે જરુરીયાત મંદો માટે ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે. આઠ જિલ્લામાં આવેલા 521 પીએચસી, સીએચસી હોસ્પિટલને આરોગ્ય રક્ષક દવા, સાધનો અને જનરેટરથી સજ્જ કરાયા છે. તો પૂર સંભવિત વિસ્તારમાં 239 એમ્બ્યુલંસ સ્ટેન્ડ બાય કરવામાં આવી છે. કચ્છમાં સંભવિત વિકટ સ્થિતીમાં આરોગ્ય સુવિધા જાળવી રાખવા 4 CDHO, 15 મેડીકલ ઓફિસર અને સંયુકત પશુપાલન નિયામકને ફરજ પર તૈનાત કરાયા છે. તો માર્ગ અને મકાન વિભાગની 115 ટીમ બનાવીને પ્રભાવિત જિલ્લામાં કાર્યરત કરવામાં આવી છે. એન.ડી.આર.એફ.ની ૧૫ તથા એસ.ડી.આર.એફ.ની ૧૨ ટીમો તૈનાત કરવામાં આવી છે. કચ્છમાં ૪૦ હજારથી વધુ ફૂડ પેકેટ-બે હજાર કિલોગ્રામ મિલ્ક પાવડર-૪પ હજાર ટ્રેટાપેક મિલ્ક જરૂરિયાતમંદ લોકોને પહોંચાડવા તૈયાર કરવામાં આવ્યા છે.


મુખ્ય સચિવ રાજકુમારે જિલ્લા વહીવટીતંત્ર સાથે યોજેલી બેઠકની માહિતી મુખ્યમંત્રીને આપતા જણાવ્યું કે સુરક્ષા અને સલામતીના પગલાંના ભાગરૂપે અત્યાર સુધી કચ્છ, પોરબંદર, જૂનાગઢ, જામનગર, દેવભૂમિ-દ્વારકા, ગીર-સોમનાથ, મોરબી અને રાજકોટ એમ કુલ ૮ જિલ્લાઓમાં ૩૭,૭૯૪ લોકોને સલામત સ્થળે સ્થળાંતરિત કરાયા છે. આ આઠ જિલ્લાઓમાંથી ૬૨૨૯ અગરિયા ભાઈબહેનોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. હવામાન વિભાગના મતે આગામી ૧૪ અને ૧પ જૂનના દિવસોમાં આ આઠ જિલ્લાઓમાં ભારે વરસાદની શકયતાઓ દર્શાવાઇ છે. કચ્છ જિલ્લામાં આ વાવાઝોડાની વ્યાપક અસર જોવા મળશે. ઊર્જા વિભાગે ૮ સંભવિત અસરગ્રસ્ત જિલ્લામાં ૫૯૭ સહિત કુલ ૮૮૯ ટીમ સ્ટેન્ડ બાય રાખી છે અને આ આઠ જિલ્લાઓના ૬૯પ૦ ફિડરો પરથી મળતા વીજ પૂરવઠાને અસર ન પહોંચે તેની પણ તકેદારી રાખી છે. ભારે વરસાદ કે વાવાઝોડાથી કાચા મકાનો, ઝૂંપડાઓ કે નીચાણવાળા વિસ્તારો જ્યાં પાણી ભરાય છે ત્યાં લોકોની સલામતી અને બચાવ રાહત માટે NDRFની ૧પ તથા SDRFની ૧૨ ટીમ પણ તૈનાત કરવામાં આવી છે.