Himmantnagar News: હિંમતનગર શહેરના મધ્યમાંથી પસાર થતી હાથમતી નદી કિનારા વિસ્તારમાં દીપડો હોવાની આશંકાને લઈ વન વિભાગ દ્વારા પાંજરું મુકવામાં આવ્યું. જોકે વન વિભાગ દ્વારા સમગ્ર નદી વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરી પગમાર્ક પણ ચેક કરવામાં આવ્યા પરંતુ દીપડો હોવા અંગેનું કોઈ પણ જાતનું નિશાન મળ્યું નથી.


ગુજરાતના કેટલાક જિલ્લામાં ચાર પગ નો આંતક સામે આવી રહ્યો છે ત્યારે આવી જ રીતે સાબરકાંઠા જિલ્લામાં પણ એક સપ્તાહથી દીપડાના આંતકના કિસ્સાઓ સામે આવ્યા હતા. સાતેક દિવસ અગાઉ હિંમતનગર તાલુકાના વામોજ ગામે પશુપાલકના વાડામાં દીપડો ઘૂસ્યો હતો અને સાત જેટલા બકરાનું મારણ કર્યું હતું. હિંમતનગર શહેરના પોલીસ હેડ  ક્વાર્ટરમાં રાખવામાં આવેલ ઘોડા પર દીપડાએ હુમલો કર્યો હતો અને ત્યારબાદ ત્યાંથી ચાંદનગર ખાતેની મસ્જિદના જાડી વિસ્તારમાં ભાગી છૂટ્યો હતો. ગઈકાલે બપોર બાદ હાથમતી નદી કિનારાના પરબડા ગામ પાસે દીપડો હોવાની વાત વાયુવેગે પ્રસરતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ઊભો થયો હતો. જોકે ફોરેસ્ટ વિભાગને જાણ થતા ફોરેસ્ટ વિભાગના અધિકારી અને કર્મચારીઓ દ્વારા અલગ અલગ ટીમો બનાવી સમગ્ર હાથમતી નદી કિનારાની છાનબીન કરી હતી પરંતુ કોઈ પણ જાતના પગમાર્ક કે કોઈ પુરાવા દીપડો હોવાના મળ્યા ન હતા બાદમાં વન વિભાગ દ્વારા પાંજરું મૂકવામાં આવ્યું હતું અને પાંજરાની આસપાસ બે કેમેરા પણ ગોઠવવામાં આવ્યા હતા. કેમેરાની ચકાસણી કરતા કોઈપણ પ્રાણી ત્યાં ફરતું ફરતું જોવા મળ્યું ન હતું જેને લઇને હાલ તો વન વિભાગ દ્વારા દીપડો હોવાની અફવા ગણવામાં આવી રહી છે.




રાજ્યમાં છ વર્ષમાં દીપડાની સંખ્યામાં 63 ટકાનો વધારો     


ગુજરાતમાં દીપડાની સંખ્યામાં વધારો થયો છે. વન વિભાગની તાજેતરની વસતી ગણતરી મુજબ રાજ્યમાં છ વર્ષમાં દીપડાની સંખ્યામાં 63 ટકાનો વધારો થયો છે. રાજ્યમાં દીપડાની સંખ્યા 2016માં 1395 હતી, તે 2023માં વધીને 2274 પર પહોંચી છે. સૌથી વધુ દીપડા જૂનાગઢમાં છે, અહીં 578 દીપડાનો વસવાટ છે, જ્યારે ગીર સોમનાથમાં 257 દીપડા છે. જૂનાગઢ, સુરત અને ગીર-સોમનાથ જેવા જિલ્લાઓમાં દીપડાની હાજરી બમણી થઈ છે, જે માનવ-પ્રાણી સંઘર્ષની ઘટનામાં વધારા સામે ચેતવણી તરીકે પણ સામે આવી છે.


સૌરાષ્ટ્રના લગભગ તમામ જિલ્લાઓમાં દીપડા જોવા મળ્યા


રાજ્યના વન અધિકારીઓ જણાવ્યું કે બોટાદ સિવાય સૌરાષ્ટ્રના લગભગ તમામ જિલ્લાઓમાં દીપડા જોવા મળ્યા હતા. આ પ્રદેશમાં રાજ્યના 50 ટકા દીપડા છે. 2016માં સૌરાષ્ટ્રમાં 700 દીપડા હતા. જ્યારે તાજેતરની વસતી ગણતરીમાં સંખ્યા 60 ટકા વધીને 1117 પર પહોંચી છે.  દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને ભરૂચમાં દીપડાની સંખ્યામાં વધારો થયો છે. અહીં શેરડીના ખેતરો આવેલા છે, જે દીપડા માટે સુરક્ષિત સ્તાન છે.


રાજ્યના આ જિલ્લામાં દીપડાઓની સંખ્યા ઘટી


તાજેતરની દીપડાની વસતી ગણતરી પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં દીપડાની સંખ્યામાં 145.5 ટકાનો વધારો થયો છે. 2016માં દક્ષિણ ગુજરાતમાં 211 દીપડા હતા, જે 2023માં વધીને 518 થયા છે. ઉત્તર ગુજરાતમાં દીપડાની સંખ્યામાં 67 ટકા વધારો થયો છે, અહીં 2016માં 91 દીપડા હતા, જે વધીને 2023માં 152 થયા છે. 2274 દીપડાઓમાંથી મધ્ય ગુજરાતમાં માત્ર 24 ટકાનો વધારો થયો છે.  જે જિલ્લામાં દીપડાની સંખ્યામાં ઘટાડો થયો તેમાં અમરેલી, દાહોદ, મહેસાણા, જામનગર અને પોરબંદર છે.