દિલ્લીઃ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ કોંગ્રેસમાં બે ફાંટા પડી ગયા છે. એક તરફ સોનિયા ગાંધીને કોંગ્રેસ અધ્યક્ષ તરીકે સ્વિકારવામાં આવી રહ્યા છે જ્યારે બીજી બાજુ નેતૃત્વ પરિવર્તનની માંગ કરતા G23 નેતાઓ છે. આજે રાતે દિલ્લી ખાતે G23 નેતાઓની ડિનર પાર્ટી યોજાઈ હતી. ગુલામ નબી આઝાદના ઘરે યોજાયેલી આ ડિનર પાર્ટીમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા.


શંકરસિંહ વાઘેલા G23 નેતાઓની બેઠકમાંઃ
આ G23 નેતાઓની બેઠકમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ કોંગ્રેસ નેતા શંકરસિંહ વાઘેલા પણ હાજર રહ્યા હતા. શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસના અસંતુષ્ટ નેતાઓ સાથે મુલાકાત કરી હતી. ગુલાબનબી આઝાદ સાથે શંકરસિંહ વાઘેલાએ વિશેષ મુલાકાત કરીને કોંગ્રેસની રાજકીય પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હતી. શંકરસિંહ વાઘેલાની આ મુલાકાતથી રાષ્ટ્રીય કોંગ્રેસમાં આગામી દિવસોમાં ભંગાણ થવાની ચર્ચાએ જોર પકડ્યું છે. શંકરસિંહ અને અન્ય નેતાઓ મળીને કંઈ નવા-જુની કરે તેવી શક્યતાઓ હાલ ચર્ચાઈ રહી છે.


G23 નેતાઓની બેઠક અગાઉ પૂર્વ કેન્દ્રીય મંત્રી કપિલ સિબ્બલના ઘરે થવાની હતી, પરંતુ સિબ્બલે ગાંધી પરિવાર વિરુદ્ધ ખુલ્લેઆમ નિવેદન આપ્યા બાદ બેઠકનું સ્થળ બદલી દેવામાં આવ્યું હતું. આઝાદના ઘરે નેતાઓ માટે ડિનરની વ્યવસ્થા કરવામાં આવી છે. સભામાં પહોંચેલા કોંગ્રેસના નેતા વિવેક તનખાએ જણાવ્યું હતું કે, હું વ્યક્તિગત રીતે આ ડિનર માટે આવ્યો છું, કોઈ રાજકારણ કે બળવો નથી.


ઉલ્લેખનીય છે કે, G23 જૂથના મુખ્ય સભ્ય કપિલ સિબ્બલે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ગાંધી પરિવારે કોંગ્રેસનું નેતૃત્વ છોડીને કોઈ અન્ય નેતાને જવાબદારી સોંપવી જોઈએ.


G23 નેતાઓની બેઠક અંગે કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, કોંગ્રેસ વર્કિંગ કમિટિ (CWC)ની બેઠક બાદ પણ 'G23' જૂથના નેતાઓ વારંવાર બેઠકો કરીને પાર્ટીને તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે, સમગ્ર કોંગ્રેસમાં કોઈ પણ પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીને કમજોર કરી શકે નહીં અને પાર્ટીના તમામ લોકો તેમની સાથે છે.