ભાઈ બાબલની હત્યાને પગલે રોષે ભરાયેલ નારણ મેપા બદલો લેવા તલપાપડ છે. પોતાના ભાઈની હત્યા પાછળ એક સમયના સાથી અને હવે બંદર પર નવી ગેંગ બનાવનાર નારણ સુધા પોસ્તરીયા પર તેને શંકા જાય છે. નારણ મેપાને  તેના ભાઈ બાબલની હત્યા પછી ખારવાવાડમાં તેની ધાક ઓછી થઈ  જશે અને બંદર હાથમાંથી જતુ ન રહે તે માટે તે મજબૂત થઈ રહેલા નારણ સુધાને મોતને ઘાટ ઉતારવા માંગે છે.




1960-70ના દાયકામાં ગુંડાઓ રામપુરી ચાકુથી રોફ જમાવતા


બંદર પર બંને ગેંગો એકબીજાના દુશ્મનને મારી નાંખવા રામપુરી ચાકુ અને ગુપ્તી જેવા હથિયારોથી સજજ બને છે. 1970ના દાયકામાં રિવોલ્વર અને પિસ્તોલ જેવા આધુનીક હથિયારોનો ગુનાખોરીમાં પ્રવેશ થયો ન હતો. એ સમયે બોલીવૂડની ફિલ્મોમાં પણ વિલન ચાકુ અને ગુપ્તી જેવા હથિયારોથી પોતાનો કહેર દેખાડતો અને હીરો વિલનને ફિલ્મના અંતમાં રામપુરી ચાકુ અને ગુપ્તીથી જ  મોતને ઘાટ ઉતારતા બતાવવામાં આવતા હતા. 1965માં પ્રખ્યાત અભિનેતા  રાજકુમારની એક ફિલ્મ 'વકત' આવી હતી. આ ફિલ્મમાં રાજુમારનો એક ડાયલોગ ખૂબ જ પ્રચલિત થયો હતો.'જાની યે બચ્ચો કે ખેલને કા ખિલૌના નહીં, લગ જાયે તો ખૂન નિકલ આતા હૈ'. ફિલ્મના આ ડાયલોગે રાજકુમાર અને રામપુરી ચાકુને દેશ-વિદેશમાં પ્રખ્યાત કરી દિધા હતા. 1960 અને 70ના દાયકામાં પોરબંદર શહેરના ગુંડાઓ પણ બેલબોટમ પેન્ટના ખિસ્સામાં રામપુરી ચાકુ રાખી શહેરની બજારોમાં વેપારીઓ પર પોતાનો રોફ જમાવતા.  




કરશન મેપાની વધતી ગુંડાગીરી  


નારણ મેપાનો બીજો ભાઈ કરશન મેપા  માથાભારે સ્વભાવનો હતો. ખારવાવાડમાં દારુ પીધા બાદ મારામારી કરવી તેની દૈનિક આદત બની ગઈ હતી. ખારવાવાડમાં નારણ મેપાનુ મોટુ નામ હોવાથી કરશનની સામે કોઈ પડતુ નહીં અને તેનો ત્રાસ સહન કરતા. એક દિવસ કરશન મેપા તેની આદત મુજબ દારુ પીધા બાદ ખારવાવાડમાં ધમાલ મચાવે છે. ખારવાવાડમાં તે ધમાલ મચાવતા ભાઈ નારણ મેપાએ સોંપેલા કામ એટલે કે નારણ સુધા ગેંગને ખતમ કરવાના ઈરાદે માથાકુટ કરે છે. નારણ સુધાની ગેંગમાં જશુ ગગન અને હીકુ ગગન મજબુત સાથીદાર એટલે તેમના ડરાવવાના હેતુ સાથે જશુ ગગનના ઘરે પહોંચી જાય છે. કરશન મેપા ચિક્કાર દારુ પીધેલો હોય નશાની હાલતમાં જશુના ઘરે જઈ પરિવારના સભ્યો સાથે માથાકુટ કરે છે. કરશન એટલો બધો નશામાં હોય છે કે તેને કોઈ ભાન રહેતુ નથી. શિયાળ પરિવારના ઘરે ધમાલ મચાવતા પરિવારની મહિલાઓને અપશબ્દો બોલી મારપીટ કરે છે. બાદમાં ત્યાથી રવાના થઈ જાય છે.



પરિવાર પર હુમલાથી લાલઘુમ જશુ ગગન 


જશુ ગગન ખારવાવાડમાં તેના ઘરે બનેલી ઘટના બાદ મોડી રાત્રે ઘરે પહોંચે છે. કરશન મેપાએ કરેલા ઝઘડા અને મારમારીની જાણ થતાં જશુ ખૂબ જ રોષે ભરાય છે. આ ઘટનાને પગલે જશુ ગગન કરશન મેપા ભલે ડોન નારણ મેપાનો ભાઈ હોય તે બદલો લેવાનુ મન મનાવી લે છે.જશુ ગગન કરશન મેપાએ તેના ઘરે કરેલી મારામારીની જાણ નારણ સુધાને કરે છે.જશુ ગગનની હિંમતથી નારણ સુધા વાકેફ હતો. એકવાર તે મન બનાવી લેશે તો ન થવાનું થશે તે નારણ સુધા જાણતો હતો. તેણે ઉગ્ર થયેલા જશુને સમજાવાની કોશિશ કરી. ઝઘડાથી કોઈનુ ભલુ નથી થયુ એટલે આપણે અંદરો અંદર લડવુ ન જોઈએ એવી શિખામણ આપી જશુને ઠંડો પાડવાની કોશિશ કરે છે. પરંતુ કહેવત છે ને કે શેઠની શિખામણ ઝાંપા સુધી એમ જશુ ગગન કોઈની શિખામણથી શિખ લે એ વાતમાં કોઈ દમ ન હતો. પરિવારની મહિલાઓ સાથે કરશન મેપાએ કરેલા ઝઘડાની રાતથી તે કોઈ પણ ભોગે કરશન મેપાનુ ઢીમ ઢાળી દેવાનું મનોમન નક્કી કરી ચૂક્યો હતો. પરંતુ તેને તક મળતી નથી.  




 ખારવાવાડમાં ખેલાયો ખૂની ખેલ


એક દિવસ ખારવાવાડમાં પાલાના ચોકની આગળ નવા પાડા તરફ જશુ ગગન અને કરશન સામ-સામે આવી જાય છે. જશુ પોતાના ઘરે થયેલી મારપીટ બાદ પ્રથમ વખત કરશન મેપાને મળતા ઉગ્ર બોલાચાલી કરે છે. જો કે કરશન મેપા ખારવાવાડના ડોન નારણ મેપાનો ભાઈ હોય જશુ ગગન તેનું શું બગાડી લેશે તેમ માની તેની વાતને હળવાશથી લે છે. બીજી તરફ  પરિવારની સાથે કરવામાં આવેલી મારપીટથી રોષે ભરાયેલા જશુ ગગન કરશન મેપાને રામપુરી ચાકુના ઉપરા-ઉપરી ઘા ઝીંકે છે જેના કારણે  કરશન મેપા લોઢારી ત્યાં જ ઢળી પડે છે. બંદરના બાદશાહ નારણ મેપાના ભાઈ કરશન મેપાની ધોળે દિવસે હત્યા થતા ખારવાવાડ સહિત સમગ્ર શહેરમાં ખળભળાટ મચી જાય છે.




જશુ ગગનનો જમાનો


કરશન મેપાની હત્યા બાદ ખારવાવાડમાં જશુ ગગનનો દબદબો વધવા લાગે છે. બંદર પર જે રીતે નારણ મેપાની હાંક વાગતી તેમ હવે જશુ ગગનનો પણ સિતારો ચમકે છે. ખારવાવાડની કોઈ પણ સમસ્યા હોય જશુ ગગન પાસે પહોંચી જવાથી તે સમસ્યાનો ઉકેલ આવતો. પોરબંદરની ગેંગોને ખૂબ નજીકથી જોનારા હિરાભાઈ મોઢાના મતે જશુ ગગન ગાંજો પીવાની ટેવ ધરાવતો. તે હિંમતવાન અને સ્વભાવે ખૂબ જ દયાળુ અને દાનવીર હતો. તેના આ સ્વભાવનો લાભ તેના ભાઈ સહિતના લોકોએ લીધો હતો. જશુ માટે એમ કહેવાય છે કે એકવાર નકકી કરી લે કે આ કામ કરવુ છે પછી કોઈની દેન નથી કે તેને રોકી શકે.  




નારણ સુધાનો નિર્દોષ છુટકારો 


ડોન નારણ મેપાના ભાઈ બાબલ અને કરશન મેપાની હત્યાને પગલે શહેરમાં ગેંગવોરના માહોલથી લોકોમાં ફફડાટ ફેલાઈ જાય છે. ભાઈની હત્યાને પગલે નારણ મેપા પોલીસ ફરિયાદમાં જશુ ગગન, હીકુ ગગન ઉપરાંત નારણ સુધા પોસ્તરીયાનું નામ લખાવે છે. પોલીસ તમામ આરોપીઓ વિરુધ્ધ ગુનો દાખલ કરી ધરપકડ કરે છે.  હત્યામાં સંડોવાયેલા હોય તેના રિમાન્ડ મેળવી ગુના સંબંધિત તપાસ કરે છે.રિમાન્ડના અંતે  આરોપીઓને પોરબંદર જેલ હવાલે કરે છે. આ હત્યામાં નારણ સુધાનો કોઈ હાથ ન હોવાનુ તે અનેક વખત જણાવે છે પરંતુ નારણ મેપા માનવા તૈયાર નથી.પોરબંદર સેશન્સ કોર્ટમાં કરશન મેપા હત્યા કેસ ચાલતા તમામ આરોપીઓને 10 વર્ષની સજા  ફટકારવામાં આવે છે. નારણ મેપાના ભાઈની હત્યાને પગલે નારણ સુધા જીંદગીમાં ન કરેલા ગુનાની સજા ભોગવી રહ્યો હોવાનુ મનમાં વિચારે છે. તે આ સજાને હાઈકોર્ટમાં પડકારે છે. આ કેસ હાઈકોર્ટમાં ચાલતા પછીના વર્ષોમાં સાક્ષીઓના નિવેદનો બદલાય છે અને નારણ સુધા આ હત્યાકેસમાં નિર્દોષ સાબિત થાય છે.




(ભાગ-8માં આપણે વાંચીશું- પોરબંદરમાં ખારવાવાડમાં ડોન નારણ મેપાના બે ભાઈઓની હત્યા બાદ હવે બંદર પર બે ગેંગ સક્રિય બને છે તો બીજી તરફ દેવુ વાઘેર અને કરશન વાઘેરની હત્યા બાદ શહેરમાં સરમણ મુંજા જાડેજા અને તેના મામા રામા નિરાશ્રીતની ગેંગ સક્રિય બને છે.આમ પોરબંદરમાં ગેંગવોરની શરુઆત થાય છે. ) 


એક સમયે દાણચોરી માટે કુખ્યાત હતું પોરબંદર, માફિયાઓના રાજમાં જેલો કરવી પડતી બંધ (ભાગ-1)


ગેંગ્સ ઓફ પોરબંદર પાર્ટ 2 : ગાંધીજીની જન્મભૂમિ કઈ રીતે બની હિંસાનું કેંદ્ર


ગેંગ્સ ઓફ પોરબંદર ભાગ -3: પોરબંદરના પ્રખ્યાત રાણો,પાણો અને ભાણો અને ખમીરવંતા ખારવાનો ઈતિહાસ


ગેંગ્સ ઓફ પોરબંદર ભાગ-4: દાણચોરીનો દરિયો પોરબંદર 


ગેંગ્સ ઓફ પોરબંદર ભાગ-5 : દાણચોરીના બેતાજ બાદશાહ  


ગેંગ્સ ઓફ પોરબંદર ભાગ-6 : પોરબંદરના ડોન નારણ મેપાના ભાઈની હત્યાથી શરુ થઈ ગેંગવોર