Government Schemes: ગુજરાતમાં નાના ધંધા-રોજગાર કરતા આર્થિક રીતે નબળા વર્ગના કારીગરોને સ્વનિર્ભર બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા “માનવ કલ્યાણ યોજના” અંતર્ગત સ્વરોજગાર ઉભા કરવા માટે ઓજારો અને સાધનોની ટૂલકીટ આપવામાં આવતી હતી. રાજ્ય સરકારે આ યોજનાને વધુ લોકઉપયોગી અને પારદર્શક બનાવવા માટે નાના કારીગરોના સૂચનોને ધ્યાને રાખીને તેમાં જરૂરી સુધારા કર્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે સંવર્ધિત “માનવ કલ્યાણ યોજના ૨.૦” અમલમાં મૂકી છે.



ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે યોજના અંગે વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, માનવ કલ્યાણ યોજના હેઠળ સ્વરોજગારી માટે નાના ધંધા કરતા કારીગરોને રાજ્ય સરકાર દ્વારા સાધન-ઓજારની ટૂલકીટ આપવામાં આવતી હતી. જ્યારે સુધારેલી માનવ કલ્યાણ યોજના ૨.૦ અંતર્ગત લાભાર્થીઓ પોતાના મનપસંદ સાધન-ઓજારની જાતે જ ખરીદી કરી શકે, તે માટે ટૂલકીટના ઈ-વાઉચર આપવામાં આવશે. સાથે જ નવી યોજના અંતર્ગત લાભાર્થીઓને બેઝીક કૌશલ્ય તાલીમનો પણ વિકલ્પ આપવામાં આવશે. સુધારેલી યોજનાના અમલથી રાજ્ય સરકારને વાર્ષિક રૂ. ૬૦ કરોડ જેટલી બચત થશે. રાજ્યના નાના કારીગરો માટે આ યોજના સાચા અર્થમાં લાભદાયી નીવડશે, તેવો મંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

ટૂલકીટની ગુણવત્તા-વોરંટીના પ્રશ્નનો આવશે અંત

આગાઉ માનવ કલ્યાણ યોજના અંતર્ગત ટૂલકીટની ખરીદી માટે રાજ્ય સરકારને યોગ્ય ભાવ ન મળવાને કારણે ખરીદીમાં વિલંબ થતો હતો. સાથે જ, ગુજરાતના આશરે ૨૦૦થી વધુ તાલુકા સુધી ટૂલકીટ પહોંચાડવાની હોવાથી વિતરણમાં વિલંબ થતા, ટૂલકીટની ગુણવત્તા અને વોરંટી સહિતના અનેક પ્રશ્નો ઉદભવતા હતા. પરિણામે લાભાર્થીઓમાં પણ અસંતોષ જોવા મળતો હતો. હવે નવી યોજના અંતર્ગત લાભાર્થી જાતે જ ટૂલકીટ ખરીદી શકે છે, જેથી લાભાર્થીઓને ઝડપથી ટૂલકીટ ઉપલબ્ધ થશે.

રાજ્ય સરકારને વાર્ષિક રૂ. ૬૦-૭૦ કરોડની થશે બચત

લાભાર્થીઓ ઈ-વાઉચરના માધ્યમથી રાજ્ય સરકાર દ્વારા ઓથોરાઇઝ કરેલા ડીલર પાસેથી ટૂલકીટ ખરીદી શકશે. ઓથોરાઇઝ ડીલર પાસેથી ટૂલકીટની ખરીદી થતા ગુણવત્તા અને વોરંટીના પ્રશ્નોમાં ઘટાડો આવશે. આટલું જ નહિ, નવી યોજનાના અમલથી ટૂલકીટનો સ્ટોરેજ, હેન્ડલિંગ અને વિતરણ જેવા અન્ય ખર્ચ ઘટતા રાજ્ય સરકારને વાર્ષિક આશરે રૂ. ૬૦ થી ૭૦ કરોડ જેટલી માતબર રકમની બચત થશે. પરિણામે રાજ્ય સરકાર વધુ લાભાર્થીઓને ટૂલકીટનો લાભ આપી શકશે.

તાલીમ મેળવતા લાભાર્થીઓને મળશે દૈનિક રૂ.૫૦૦ સ્ટાઇપેંડ

માનવ કલ્યાણ યોજના ૨.૦ અંતર્ગત લાભાર્થીઓને બેઝીક કૌશલ્ય તાલીમનો પણ વિકલ્પ આપવામાં આવશે. તાલીમ મેળવવા ઈચ્છુક હોય તેવા લાભાર્થીઓને ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેક્નોલોજી સંસ્થાન, RSETI સહિતની પ્રતિષ્ઠિત સંસ્થાઓ દ્વારા પાંચ દિવસની કૌશલ્ય તાલીમ અપાશે. તાલીમ મેળવતા લાભાર્થીઓને હાજરીના આધારે દૈનિક રૂ. ૫૦૦નું સ્ટાઇપેંડ પણ આપવામાં આવશે. તાલીમના અંતે લાભાર્થીને ટૂલકીટનું ઈ-વાઉચર આપવામાં આવશે. જે લાભાર્થીઓ તાલીમ ન મેળવવા માંગતા હોય તેવા લાભાર્થીઓને સીધા ઈ-વાઉચર આપવામાં આવશે.

આ ઉપરાંત લાભાર્થીઓ માનવ કલ્યાણ યોજના ૨.૦ અંતર્ગત ભારત સરકાર અને રાજ્ય સરકારની પીએમ સ્વનિધિ યોજના, શ્રી વાજપાઇ બેન્કેબલ યોજના, દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના તથા અન્ય બેન્કેબલ યોજનાઓ હેઠળ ધિરાણ માટે અરજી પણ કરી શકશે.

૧૦ વ્યવસાયના કારીગરોને મળશે પીએમ વિશ્વકર્મા યોજનાનો લાભ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ગત વર્ષે દેશના નાના કારીગરો માટે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના અમલમાં મૂકાઈ હતી, જેમાં ૧૮ વ્યવસાય સાથે જોડાયેલા કારીગરોને ટૂલકીટના ઈ-વાઉચર આપવામાં આવે છે. માનવ કલ્યાણ યોજનામાં સમાવિષ્ટ ૧૦ વ્યવસાયના કારીગરોને પીએમ વિશ્વકર્મા યોજના અંતર્ગત લાભ મળવાપાત્ર હોવાથી લાભાર્થીઓને બે વાર સહાય ન મળે તે સુનિશ્ચિત કરવા દરજીકામ, કુંભારીકામ, લુહારીકામ, કડીયાકામ, મોચીકામ, સુથારીકામ, ધોબીકામ, સાવરણી-સુપડા બનાવનાર, માછલી વેચનાર-જાળી બનાવનાર અને વાણંદના વ્યવસાયને માનવ કલ્યાણ યોજના ૨.૦માંથી દૂર કરવામાં આવ્યા છે.

કોણ લઈ શકશે આ યોજનાનો લાભ?

માનવ કલ્યાણ યોજના ૨.૦નો સેન્ટ્રીંગ કામ, વાહન સર્વિસીંગ-રીપેરીંગ કામ, ભરતકામ, પ્લમ્બર, બ્યુટીપાર્લર, ઇલેક્ટ્રિક એપ્લાયૅન્સીસ રીપેરીંગ, દૂધ-દહીં વેચનાર, પાપડ બનાવનાર, અથાણા બનાવનાર અને પંચર કરનાર નાના કારીગરો લાભ લઇ શકશે. આ યોજનાનો લાભ મેળવવા માટે અરજદારની ઉંમર ૧૮ થી ૬૦ વર્ષની હોવી અનિવાર્ય છે. તદુપરાંત કુટુંબ દીઠ એક જ કારીગર આ યોજનાનો લાભ મેળવી શકશે, જ્યારે કુટુંબની વાર્ષિક આવક પણ રૂ. ૬ લાખથી વધુ ન હોવી જોઈએ. રાજ્ય સરકાર દ્વારા વિધવા, બીપીએલ કાર્ડ ધારકો અને ઓછી આવક ધરાવતા અરજદારોને અગ્રતા આપવામાં આવશે. આ ઉપરાંત કુટુંબમાં કોઈ સરકારી કર્મચારી ન હોય તેવા અરજદારોને જ આ યોજનામાં સામેલ કરવામાં આવશે.

કેવી રીતે થશે લાભાર્થીની પસંદગી?

આ યોજનાનો લાભ મેળવવા લાભાર્થીઓએ ઈ-કુટીર પોર્ટલ પર અરજી કરવાની રહેશે, રાજ્ય સરકાર દ્વારા હાલ ઈ-કુટીર પોર્ટલ ખુલ્લું મૂકાયું છે. અરજી કર્યા બાદ જે તે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા અરજીની ચકાસણી કરવામાં આવશે. જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા મંજૂર થયેલી રાજ્યની તમામ અરજીઓનો ઓનલાઈન ડ્રો કરવામાં આવશે. ઓનલાઈન ડ્રોમાં પસંદગી પામેલા લાભાર્થીઓને માનવ કલ્યાણ યોજના ૨.૦ અંતર્ગત લાભ આપવામાં આવશે, જ્યારે બાકીની અરજીઓને આવતા વર્ષ માટે કેરી ફોરવર્ડ કરવામાં આવશે. ઈ-વાઉચર પદ્ધતિથી ટૂલકીટ ખરીદી કર્યા બાદ ટૂલકીટનો દૂરુપયોગ ન થાય તે સુનિશ્ચિત કરવા જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા લાભાર્થીના ઘરે જઈને ઇન્સ્પેકશન પણ કરવામાં આવશે.