ગાંધીનગરઃ રાજ્યના નાણામંત્રી નીતિન પટેલે આજે વર્ષ 2020-21નું બજેટ રજૂ કર્યુ હતું. નીતિન પટેલે આઠમી વખત ગુજરાતનું બજેટ રજૂ કર્યુ. જેમાં તેમણે ખેડૂતોને લઈ મોટી જાહેરાત કરી હતી.


ક્યાં સ્થપાશે દેશની પ્રથમ ઓર્ગેનિક એગ્રીકલ્ચર યુનિવર્સિટી

દેશની પ્રથમ ગુજરાત ઓર્ગેનિક એગ્રીકલ્ચર યુનિવર્સિટી પંચમહાલના હાલોલમા સ્થાપવા 12 કરોડની જોગવાઈ કરવામાં આવી હોવાની બજેટમાં નીતિન પટેલે જાહેરાત કરી હતી. આ ઉપરાંત ખેત ઉત્પાદનોને રેલવે સ્ટેશન કે એરપોર્ટ સુધી પહોંચાડવા સહાય માટે 10 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી. એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ એકમોને સહાય માટે 34 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

ખેડૂતે ખેતરમાં ગોડાઉન બનાવવા NA નહીં કરાવવું પડે

માઈક્રો ઈરીગેશન સિસ્ટમથી સિંચાઈ કરતા ખેડૂત જુથોને પ્રવર્તમાન પીયતના દરમાં 50 ટકા રાહત મળશે. ખેડૂતે ખેતરમાં ગોડાઉન બનાવવું હશે તો તેના માટે એનએ કરાવવાનું રહેશે નહીં. ખેડૂતને હળવા ભારવાહક વાહનની ખરીદી માટે 50 હજાર સહાય આપવામાં આવશે.

ખેડૂતને એક ગાયદીઠ નિભાવ ખર્ચ પેટે દર મહિને 900 રૂપિયા, વાર્ષિક 10800 રૂપિયા સહાય આપવામાં આવશે. રાજ્યના લાખ પશુપાલકોની સહાય માટે મુખ્યમંત્રી પશુદાણ યોજનાની નવી જાહેરાત કરાઈ હતી. ગાયો માટે શેડ, સોલાર રૂફ, ઘાસચારાના પ્લોટમાં માઈક્રો ઈરીગેશન સહિતની સુવિધા માટે 100 કરોડની જોગવાઈ કરવામાં આવી પશુપાલકોને ડેરીફાર્મ, પશુ એકમ અને બકરા એકમ સ્થાપવાની યોજનાઓ હેઠળ 81 કરોડની જોગવાઈ બજેટમાં કરાઈ હતી.

ગુજરાત બજેટઃ પોલીસ વિભાગમાં કેટલી ભરતી કરવામાં આવશે ? નીતિન  પટેલે શું કરી જાહેરાત, જાણો