અબડાસાઃ ગુજરાતમાં આગામી 3 નવેમ્બરે યોજાનારી આઠ વિધાનસભાની પેટાચૂંટણી યોજાવાની છે, ત્યારે અબડાસા બેઠકને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. કચ્છનાં અબડાસામાં પેટા ચૂંટણી વખતે એક ગામ દ્વારા ચૂંટણી બહિષ્કારની ચીમકી આપવામાં આવી છે. જેને કારણે રાજકીય પક્ષોમાં દોડધામ શરૂ થઈ ગઈ છે.


મળતી વિગતો પ્રમાણે આમરવાંઢના લોકોએ મતદાન ના કરવાની ચીમકી ઉચ્ચારી છે. 1700ની વસ્તી ધરાવતા ગામના લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે. બહિષ્કારનો નિર્ણય કરતા તંત્ર અને રાજકીય પક્ષોમાં દોડધામ મચી ગઈ છે. અબડાસામા આવેલા છેવાડાના આમરવાંઢ ગામના લોકોએ પેટા ચૂંટણીનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. આમરવાંઢ ગામ કેન્દ્ર સરકારના ચોપડે દર્શાવાયું છે, પણ રાજ્ય સરકારના ચોપડે ગામનું નામ જ નથી. આ ગામના લોકો છેલ્લા કેટલાક વર્ષોથી ઓળખ માટે ઝંખી રહ્યા છે.