ગાંધીનગરઃ ગુજરાતમાં આજે કોરોનાના નવા 20 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 22 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,816 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.76 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી એક મોત થયું છે.  આજે  4,72,739 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. 


જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 179 કેસ છે. જે પૈકી 04 વેન્ટીલેટર પર છે, જ્યારે 175 નાગરિકો સ્ટેબલ છે. 8,15,816 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10085 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે.   આજે કોરોના સંક્રમણના કારણે એક  દર્દીનું વલસાડમાં મોત થયું છે. 


 અમદાવાદ શહેરમાં 3 કેસ નોંધાયા છે. વલસાડમાં નવા ત્રણ કેસ સામે આવ્યા છે. ખેડા જિલ્લામાં પણ નવા બે કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં એક નવો કેસ સામે આવ્યો છે. વલસાડ જિલ્લામાં એક દર્દીનું મૃત્યુ પણ થયું છે. 


અમદાવાદમાં 100 ટકા વેક્સિનેશનના લક્ષ્યાંકને લઈ મનપાએ શરુ કરી આ કામગીરી ? 


અમદાવાદમાં 100 ટકા વેક્સિનેશનના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે અમદાવાદ મહાનગર પાલિકાએ આજથી ઘરે વેકસિન આપવાની કામગીરી શરૂ કરી છે.  50 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિ કે પછી દિવ્યાંગ નાગરિકોના ઘરે જઈને વેક્સીન આપવામાં આવી હતી.  મધ્યઝોનમાં 66 વર્ષના કરોડરજ્જૂની સમસ્યાથી પીડિત દર્દીને વેક્સીન અપાઈ હતી. નાગરિકો આ યોજનાનો લાભ લેવા માટે સવારના 9થી રાતના 9 વાગ્યા સુધી ahmedabadcity.gov.in પર રજિસ્ટ્રેશન કરાવી શકશે. જે બાદ વેક્સિન લેનારે નક્કી કરેલા સમયે મનપાની ટીમ તેમના ઘરે જઈને વેક્સિન આપશે. 


આ યોજના હેઠળ જો 50 વર્ષથી વધુ ઉંમરના હોય અને તે વેક્સિનેશન સેન્ટર પર આવવાને બદલે પોતાના ઘરે જ વેક્સિન મેળવવા ઈચ્છતી હોય તો તેવા સંજોગોમાં તેમના ઘરે જઈને પ્રથમ અથવા બીજો ડોઝ મહાનગરપાલિકા આપશે. આ સિવાય 18 વર્ષથી વધુ ઉંમરના દિવ્યાંગ વ્યક્તિ પણ જો ઈચ્છે તો મહાનગર પાલિકાની ટીમ તેમના ઘરે જઈને રસી આપશે.  આ માટે ઝોન હેલ્થ વિભાગ રજીસ્ટ્રેશનનું વેરિફિકેશન કરશે.  રજીસ્ટ્રેશન માટે લાભાર્થીએ તેમાં વેક્સિન લેવાની તારીખ અને સમય દર્શાવવાનો રહેશે. અત્યારસુધી શહેરની 97 ટકા વસ્તીને પ્રથમ ડોઝ અને 49 ટકા વસ્તીને બીજો ડોઝ અપાઈ ચૂક્યો છે.