ગાંધીનગર: રાજ્યમાં ફરી એકવાર કોરોના વાયરસે માથુ ઉંચક્યું છે અને કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં સતત ત્રીજા દિવસે કોરોનાના કેસ 400થી વધારે નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 451 નવા કેસ નોંધાયા હતા જ્યારે 328 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. આજે કોરોના સંક્રમણથી એકનું મૃત્યુ થયું હતું. તેની સાથે રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4409 પર પહોંચ્યો છે. અમદાવાદ કોર્પોરેશનમાં 1 દર્દીનું મોત થયું હતું.


રાજ્યમાં અત્યાર સુધી 262815 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 97.53 ટકા પર પહોંચ્યો છે. હાલ 2258 એક્ટિવ કેસ છે, જેમાંથી 36 લોકો વેન્ટિલેટર પર અને 2222 લોકો સ્ટેબલ છે.

આજે ક્યા કેટલા કેસ નોંધાયા ?

આજે અમદાવાદ કોર્પોરેશનમાં 105, સુરત કોર્પોરેશન 71, વડોદરા કોર્પોરેશનમાં 71, રાજકોટ કોર્પોરેશન 37, ભાવનગર કોર્પોરેશન-16, વડોદરા-11, સુરત-10, આણંદ-9, કચ્છ-9, ખેડા, મહિસાગર, પંચમહાલ, સાબરકાંઠામાં 7-7 કેસ, ગીર સોમનાથ અને મહેસાણામાં 6-6, ગાંધીનગર કોર્પોરેશન, જામનગર કોર્પોરેશન અને નવસારીમાં 5-5 કેસ નોંધાયા હતા.


પહેલી માર્ચથી સામાન્ય નાગરિકોને કોરોનાની વેક્સીન આપવામાં આવશે. ત્યારે  ગુજરાતની રૂપાણી સરકારે કોરોનાની રસીને લઈને ભાવ નક્કી કર્યા છે. ખાનગી હોસ્પિટલમાં વેક્સિનનો ચાર્જ 150 રૂપિયા નક્કી કરાયો છે. જેમા વહીવટી ચાર્જ 100 રૂપિયા આપવો પડશે. આરોગ્ય વિભાગ માન્ય હોસ્પિટલમાં 250 રૂપિયામાં વેક્સિન મળશે. એક ડોઝ માટે 250 રૂપિયા અને બે ડોઝના 500 રૂપિયા થશે. નોંધનીય છે કે, પહેલી માર્ચથી ગુજરાતમાં 60 વર્ષથી વધુના લોકોને રસી આપવાની શરૂઆત થવાની છે. ત્યારે સરકારે કોરોનાની રસીના ભાવ જાહેર કર્યા છે.