ભાવનગરઃ રાજ્યના પૂર્વ ગૃહ પ્રધાન વજુભાઇ જાનીનું ભાવનગર ખાતે નિધન થયું છે. 92 વર્ષની વયે તેમનું નિધન થયું છે. કોંગ્રેસના સનિષ્ઠ કાર્યકર હતા. 1985માં મહુવા બેઠક પર તેઓ વિજેતા બન્યા હતા. માધવસિંહ સોલંકીની સરકારમાં તેઓ ગૃહ પ્રધાન રહી ચૂક્યા છે. છેલ્લા ઘણા વર્ષોથી તેઓ નિષ્ક્રિય હતા. આજે ભાવનગરના ચિત્રા મોક્ષધામ ખાતે તેમની અંતિમવિધિ થશે.


ગાંધીનગરઃ રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાત કોગ્રેસે એક મહત્વનો નિર્ણય લીધો છે. મળતી જાણકારી અનુસાર વિધાનસભાની 2022ની ચૂંટણી પહેલા કોંગ્રેસે મોટો નિર્ણય લીધો હતો. જે અનુસાર એક વ્યક્તિ એક હોદ્દાની રણનીતિ પર કોંગ્રેસ ચૂંટણી લડશે.


ગુજરાત કોગ્રેસમાં સંગઠનમાં હોદ્દો ધરાવનાર વ્યક્તિ વિધાનસભાની ચૂંટણી લડી શકશે નહીં. સાથે જ કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યોને સંગઠનમાં હોદ્દો અપાશે નહીં. અને આમ પ્રદેશના માળખામાં ધારાસભ્યો-સાંસદ સભ્યોનો સમાવેશ કરવામાં આવશે નહીં. સાથે જ જિલ્લા પ્રમુખો અને પ્રદેશના હોદ્દેદારો ચૂંટણી લડશે નહીં. જો કે કોંગ્રેસના પ્રભારી અને પ્રમુખનો આ નિર્ણય 2022ની ચૂંટણી પૂરતો રહેશે. કોંગ્રેસની તાકાત વધારવા અને જવાબદારીઓનું વિભાજન કરવા આ નિર્ણય લેવાયો હોવાની ચર્ચા છે.


સુરત મહિલા કોંગ્રેસ ઉપપ્રમુખ મેઘના પટેલની ધરપકડ



સુરત મહિલા કોંગ્રેસ ઉપપ્રમુખ મેઘના પટેલની પોલીસે ધરપકડ કરી હતી. મળતી જાણકારી અનુસાર, મોંઘાભાવની જમીન સસ્તામાં અપાવવાની લાલચ આપી છેતરપીંડીના કેસમાં સુરત મહિલા કોંગ્રેસ ઉપપ્રમુખ મેઘના પટેલની પોલીસે ધરપકડ કરી હતી. નવસારીના ચીખલીના મલ્યાધરા ગામના ખેડૂત દેવાભાઈ લાડ પાસે જમીનના દસ્તાવેજ કરાવી જમીન બારોબાર અન્યને વેચી લાખોની છેતરપીંડી થયાની પોલીસ ફરિયાદ થઈ હતી. મેઘના અને તેના અન્ય બે સાગરીતો વિરુદ્ધ જમીન ખરીદનાર સુરતના વિરલ તાલિયાએ પોલીસ ફરિયાદ આપતા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું.