અમદાવાદઃ કોરોનાના કહેરની વચ્ચે સીબીએસઈએ આ વર્ષે ધોરણ 9થી 12ના કોર્સમાં 30 ટકાના ઘટાડાની જાહેરાત કર્યા બાદ ગુજરાતમાં પણ ધોરણ 9થી 12ના કોર્સમાં ઘટાડો કરવાનું રાજ્ય સરકાર વિચારી રહી છે. જોકે કોર્સમાં કેટલો ઘટાડો થશે તેની જાહેરાત રાજ્ય સરકાર આગામી સમયમાં કરશે. સરકારના આ નિર્ણયથી આસે 36 લાખ વિદ્યાર્થીઓને ફાયદો થશે.


આ મામલે શિક્ષણ મંત્રીએ કોર્સમાં ઘટાડા કરવાને લઈને શિક્ષણ તજજ્ઞો સાથે ઓનલાઈન મીટિંગો કરી હતી. આ તમામ એક્સપર્ટની વાતને ધ્યાનમાં લઈને શિક્ષણ વિભાગ આગામી સમયમાં કોર્ટમાં કેટલા ટકા અને ક્યા મુદ્દા ઘટાડવા તેની જાહેરાત કરશે.

સરકારના આ નિર્ણથી ખાસ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને અસર થશે. બોર્ડના વિદ્યાર્થીઓ માટે મહત્ત્વનું વર્ષ હોય અને સ્કૂલો ક્લાસિસ બંધ હોવાથી વિદ્યાર્થીઓ ચિંતા અનુભવતા હોય કોર્સ ઘટવાના સમાચારથી વિદ્યાર્થીઓને રાહત થશે.

શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના જણાવ્યા પ્રમાણે, આગળના ધોરણ સાથે જોડાયેલા મુદ્દાઓનો કાપ નહીં મુકાય. એટલે ધોરણ 9માં એવા જ ચેપ્ટર ઘટાડવામાં આવશે જે ધોરણ 10માં આવતા નહીં હોય અથવા સપોર્ટિવ નહીં હોય. એટલે કે ધોરણ 10ના બેઝિક મુદ્દા હશે તેને ધોરણ 9માંથી ઘટાડવામાં આવસે નહીં.