Gujarat News: રાજ્યમાં વધી રહેલા રખડતાં ઢોરના ત્રાસને લઇને હાઇકોર્ટે સરકારને ફટકાર લગાવી હતી, અને સાત દિવસની અંદર રખડતાં ઢોર અંગે રિપોર્ટ જમા કરાવવાનું કહ્યું હતુ, હવે આ અંગે રાજ્ય સરકારે ગુજરાઇ હાઇકોર્ટમાં રખડતાં ઢોર અંગેનો રિપોર્ટ મુક્યો છે, જેના આંકડા પણ ચોંકવનારા છે. રાજ્ય સરકારે 5 હજારથી વધુ પાનાનો રિપોર્ટ મુક્યો છે.  


રાજ્યમાં રખડતાં ઢોર મુદ્દે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં 5 હજાર 979 પાનાનો રિપોર્ટ રજૂ કર્યો છે. ગુજરાત સ્ટેટ લીગલ સર્વસીસ ઓથોરિટીના રિપોર્ટ બાદ હાઈકોર્ટે રાજ્ય સરકાર અને કોર્પોરેશનને 7 દિવસનું અલ્ટીમેટમ આપ્યુ અને રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો હતો. જે પ્રમાણે આજે સરકારે કોર્ટમાં 8 મહાનગરપાલિકા અને 157 નગરપાલિકાઓનો રિપોર્ટ રજૂ કર્યો હતો. 


સોગંદનામા પ્રમાણે 27 ઓગસ્ટથી 5 નવેમ્બર સુધીમાં અમદાવાદ મહાનગર પાલિકાએ 1 હજાર 835 રખડતા ઢોર પકડ્યા છે, 772 RFID લગાવી અને 7 FIR નોંધી છે. સુરત મહાનગરપાલિકાએ 514 રખડતા ઢોર પકડ્યા છે. 373 RFID લગાવી અને 35 FIR નોંધી છે. રાજકોટ મહાનગર પાલિકાએ 468 રખડતા ઢોર પકડ્યા છે. 369 RFID લગાવી અને હજુ એકપણ FIR નથી નોંધી. તો વડોદરા મહાનગરપાલિકાએ 305 રખડતા ઢોર પકડ્યા છે. 1 હજાર 211 RFID લગાવી અને 8 FIR નોંધી છે. તો ગાંધીનગર મહાનગરપાલિકાએ 179 રખડતા ઢોર પકડ્યા છે, 175 RFID લગાવી અને હજુ એકપણ FIR નથી નોંધી નથી. તો ભાવનગર મહાનગરપાલિકાએ 367 રખડતા ઢોર પકડ્યા છે. 82 RFID લગાવી અને હજુ એકપણ FIR નથી નોંધી. જામનગર મહાનગર પાલિકાએ 430 રખડતા ઢોર પકડ્યા છે. 225 RFID લગાવી અને 72 FIR નોંધી છે. તો જૂનાગઢ મહાનગર પાલિકાએ 216 રખડતા ઢોર પકડ્યા છે. 50થી વધુ RFID લગાવી અને 16 FIR નોંધી છે. આમ રખડતાં ઢોરના ત્રાસને લઇને સરકાર એક્શનમાં આવી હતી, અને સમગ્ર રાજ્યમાંથી 157 નગર પાલિકાઓમાં 4 હજાર 328 રખડતા ઢોર પકડવામાં આવ્યા છે, 424 RFID લગાવાઈ અને 15 FIR નોંધવામાં આવી છે. 


બુદ્ધિનું પ્રદર્શન! હવે ટેક્સ વિભાગના કર્મચારીઓ પકડશે ઢોર, અમદાવાદ મહાનગરપાલિકાએ સોંપી જવાબદારી


અમદાવાદ મહાનગરપાલિકાએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું હતું. મળતી જાણકારી અનુસાર, અમદાવાદ મહાનગરપાલિકાએ ઢોર પકડવા માટે ટેક્સ વિભાગના અધિકારીઓને જવાબદારી સોંપી હતી. ગુજરાત હાઈકોર્ટની ટકોર બાદ મનપાએ ઢોર પકડવાની કામગીરી હાથ ધરાઇ રહી છે પરંતુ તેમાં હવે ટેક્સ વિભાગના અધિકારી અને કર્મચારીઓને ઢોર પકડવાની જવાબદારી સોંપવામાં આવી છે. હવે ટેક્સ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ટેક્સ વસૂલાત પડતી મૂકીને ઢોર પકડવા માટે રસ્તા પર નીકળશે. અમદાવાદ મહાનગરપાલિકાના આ નિર્ણયથી ટીકા કરવામાં આવી રહી છે.


અમદાવાદમાં રવિવાર સુધી અલગ અલગ વિસ્તારોમાંથી 163 ઢોર પકડવામાં આવ્યા અને 28 હજાર 430 કિલો ઘાસચારો જપ્ત કરવામાં આવ્યો હતો. CNCD વિભાગે નવેમ્બરમાં કલ 689 અને ચાલુ વર્ષે એપ્રિલથી ઓક્ટોમ્બર સુધીમાં કુલ 12 હજાર 307 જેટલા ઢોર પકડ્યા છે.


ગુજરાત હાઈકોર્ટની ફટકાર બાદ અમદાવાદ મહાનગરપાલિકાએ ઢોર નિયંત્રણ પોલીસીને લઈ પશુપાલકોને છેલ્લી  નોટિસ આપી હતી. હવે જો લાયસન્સ નહીં હોય તો પશુઓને શહેરની બહાર લઈ જવા આખરી અલ્ટીમેટ આપી દેવામાં આવ્યું છે. ઢોર નિયંત્રણ પોલીસે મુજબ પશુઓની જગ્યા હશે તો જ લાયસન્સ આપવામાં આવશે. અને જો જગ્યા નહીં હોય તો લાયસન્સ આપવામાં આવશે નહીં.


અમદાવાદ મનપાએ પશુઓના લાયસન્સ માટે 1500 ફોર્મનું વિતરણ કર્યું હતું. જો કે પશુ માલિકોએ લાયસન્સ માટે રસ દાખવ્યો નથી. કેમ કે અત્યાર સુધીમાં માત્રને માત્ર 14 પશુ માલિકોએ લાયસન્સ મેળવ્યા છે. જો કે અમદાવાદમાં પશુઓની સંખ્યા ઘણી મોટી છે. તેમ છતાં મોટાભાગના પશુ માલિકોએ લાયસન્સ મેળવ્યા નથી. તે જોતા શહેરમાંથી 20-22 હજાર પશુઓને શહેરમાંથી ખસેડવામાં આવે તેવી સંભાવના છે.


બીજી તરફ સુરતમાં ઢોર પકડવા ગયેલી પાલિકાની ટીમ પર પશુપાલકોએ હુમલો કર્યો હતો. શહેરના અમરોલી વિસ્તારમાં ઢોર પકડવા ગયેલી ટીમ પર પશુપાલકોએ હુમલો કર્યો હતો. નાથા ભરવાડ સહીતની ટોળકીએ કર્મચારીઓ પર હુમલો કર્યો હતો. આરોપીઓએ ઝપાઝપી કરી ઢોર પણ છોડાવી ગયા હતા. પોલીસે 10 લોકો સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.