અમદાવાદઃ ગુજરાતમાં નવા ટ્રાફિક નિયમના અમલને લઈને રાજ્ય સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. વાહન વ્યવહાર મંત્રી આર.સી. ફળદુએ પત્રકાર પરિષદમાં આ જાહેરાત કરતા કહ્યું હતું કે ટ્રાફિકના નવા નિયમોના અમલની સમયમર્યાદા 15 ઓક્ટોબર સુધી લંબાવવામાં આવી છે. ગુજરાત સરકારની કેબિનેટની બેઠકમાં આજે આ નિર્ણય લેવામાં આવ્યો છે. લોકોને હેલમેટ ખરીદવામાં અને પીયુસી કાઢવામાં પડતી અગવડતાની ફરિયાદો સરકારને મળ્યા બાદ આ અંગે ચર્ચા-વિચારણા કરીને આ નિર્ણય કરાયો છે.


આ સાથે આર.સી ફડદુએ જણાવ્યું હતું કે, હવે નવી ગાડી કોઈ પણ વ્યક્તિ લેશે તેને કંપની દ્રારા જ હેલમેટ આપવામાં આવશે. જેથી નવી ગાડી પર અલગથી હેલમેટ નહીં લેવું પડે. પરિણામે હેલમેટ પર 15 ઓક્ટોબર સુધી ગુજરાતના વાહનચાલકોને દંડ ભરવાનો નહીં પડે. ગુજરાત સરકારે આજની કેબિનેટ બેઠકમાં નવા ટ્રાફિક નિયમોમાં 15 દિવસની વચગાળાની રાહત આપી છે એટલેકે નવો ટ્રાફિક અધિનિયમ હવે 15 દિવસ બાદ લાગુ થશે. ગુજરાત સરકારની કેબિનેટની બેઠકમાં આજે આ નિર્ણયો લઇ સરકારે વાહનચાલકોને 15 દિવસની વધારે રાહત આપી છે.

આર.સી.ફડદુએ જણાવ્યું હતું કે, લોકોની PUCની સમસ્યાને લઈને આગામી સમયમાં 900 જેટલા પીયુસી સેન્ટરો ખોલવામાં આવશે જેના કારણે આવનારા સમયમાં વાહનચાલકોને હાલાકીનો સામનો ન કરવો પડે.

કેબિનેટમાં આ લેવાયા નિર્ણયો

- નવા મોટર વ્હિકલ એક્ટની અમલવારી લંબાઈ
- રાજ્યમાં હવે નવા નિયમનું પાલન 15 ઓકટોબરથી.
- નવા 900 PUC સેન્ટર ખોલવામાં આવશે.
- 15 ઓકટોબર સુધી હેલ્મેટના દંડની મુદત અને પીયૂસી માટેની મર્યાદા વધારાઈ.
- નવા વાહનો ખરીદનારને હેલ્મેટ ફ્રી આપવામાં આવશે.
- વાહન ખરીદનારને ISIના માર્કાવાળા હેલ્મેટ આપવા પડશે.

આમ હવે આગામી 15મી ઓકટોબરથી ટ્રાફિકના નવા કાયદાઓનો અમલ કરાશે. જોકે જે છૂટછાટ અપાઈ છે તેમાં માત્ર હેલ્મેટ અને પીયુસીનો જ સમાવેશ થાય છે. ડ્રાઇવિંગ લાઇસન્સ અંગે હજુ સરકારે કોઈ પણ સ્પષ્ટતા કરી નથી. બીજી બાજુ ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ લાઇસન્સ તેમજ પીયુસી સહિતની નિયમિત જે કામગીરી કરવામાં આવતી હતી તે અત્યારે પણ ચાલુ જ રાખવામાં આવશે પરંતુ દંડની રકમ જુના નિયમો મુજબ લેવાશે.