Gujarat Weather: હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીના પગલે રાજ્યમાં ખેડૂતોની ફરી એક વખત ચિંતા વધી છે. હવામાન વિભાગે 1 અને 2 માર્ચે રાજ્યમાં માવઠાની આગાહી કરી છે. પવનની દિશા બદલાઈને ઉત્તર પશ્ચિમ અથવા ઘણી જગ્યાએ પશ્ચિમના પવનો ફૂંકાશે.
 
ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, પાટણ, બનાસકાંઠા, મહેસાણા આ ચાર જિલ્લામાં માવઠાની શકયતા છે. કચ્છ જિલ્લામાં 1 અને 2 માર્ચે સમગ્ર જિલ્લામાં માવઠાની શકયતા છે. અન્ય વિસ્તારમાં હવામાન પલટો જોવા મળશે, છુટાછવાયા વરસાદ જોવા મળી શકે છે. પશ્ચિમ સૌરાષ્ટના ભાગો જેમકે દ્ધારકા , જામનગર, પોરબંદરમાં હળવા ઝાપટા પડી શકે છે. મોરબીમાં અતિ ઘાટા વાદળ હોવાથી વરસાદી છાંટા પડી શકે છે.


અંબાલાલ પટેલે શું કરી છે આગાહી


હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે  પણ ગુજરાતમાં પવનના તોફાનો, વંટોળ, દરિયા કિનારેના પવન, કમોસમી વરસાદની આગાહી કરી છે. જે મુજબ 15 માર્ચ સુધી રાજ્યના વાતાવરણમાં મોટો પલટો આવશે. ગુજરાતમાં 1થી 5 માર્ચ વચ્ચે પવન સાથે કમોસમી વરસાદ ત્રાટકી શકે છે. આ દિવસોમાં કચ્છ, ઉત્તર સૌરાષ્ટ્ર, સુરેન્દ્રનગર, અમદાવાદ, બનાસકાંઠામાં માવઠું પડી શકે છે. રાજ્યના જુદા જુદા ભાગોમાં વાતાવરણ પલટાશે. જળદાયક ગ્રહોના યોગો, ઉદય, ગ્રહોના ફેરફાર અને પવન વાહક ગ્રહોની સ્થિતિના કારણે વાતાવરણ પલટાશે.  1 થી 5 માર્ચે પવનના યોગ સર્જાતા, ભારે પવન સાથે કમોસમી વરસાદની શક્યતા છે. કચ્છ, ઉત્તર સૌરાષ્ટ્ર, સુરેન્દ્રનગર, અમદાવાદ, બનાસકાંઠા જેવા વિસ્તારોના હવામાનમાં મોટા ફેરફાર જણાશે. આ દિવસોમાં પવનનું જોર પણ રહેશે. 10 માર્ચ થી 12 માર્ચમાં મોટા ફેરફાર થશે.




રાજસ્થાનમાં હવામાન ફરી પોતાનો મિજાજ બદલી રહ્યું છે. ઠંડા પવનો અને હળવા વરસાદના કારણે રાજ્યમાં ફરી કાતિલ ઠંડી જોવા મળી રહી છે. ઠંડા પવનોને કારણે રાજ્યમાં ફેબ્રુઆરીના અંતિમ દિવસોમાં પણ લોકો ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે. હવામાન વિભાગે આગામી બે દિવસમાં રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદ અને કરા પડવાની ચેતવણી જારી કરી છે. હવામાનમાં આવેલા બદલાવ બાદ હવામાન વિભાગે અનેક જિલ્લાઓમાં વરસાદ અને કરાનું ઓરેંજ અને યલો એલર્ટ જારી કર્યું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કોટા, ભરતપુર, જોધપુર, બિકાનેર, અજમેર અને જયપુર ડિવિઝનમાં વીજળી અને તેજ પવન સાથે વરસાદની સંભાવના છે. એટલું જ નહીં, આ સમયગાળા દરમિયાન કેટલીક જગ્યાએ કરા પણ પડી શકે છે. સાથે જ પવનની ઝડપ પણ 30 થી 50 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની સંભાવના છે. આ પછી, 3 માર્ચે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર સમાપ્ત થતાં જ રાજ્યનું હવામાન ફરીથી શુષ્ક થઈ જશે.