ગુજરાતમાં કોરોનાની ગતિ ધીમી પડી ગઈ છે અને સોમવારથી શાળા-કોલેજો ખોલવાનીજાહેરાત થઈ છે. આ વખતે શિયાળામાં ઠંડીનું સામ્રાજ્ય રહ્યું છે અને ઘણી જગ્યાએ લઘુત્તમ તાપમાન ઘટી જતાં લોકો ઠુંઠવાઈ ગયા હતા.. શિયાળા દરમિયાન હૃદયરોગના હુમલામાં આશરે 20 ટકાનો વધારો નોંધાય છે. ખાસ કરીને વહેલી સવાર દરમિયાન કાર્ડિયોવાસ્ક્યુલરના કેસ વધારે જોવા મળતાં હોય છે. કાર્ડિયોલોજીસ્ટોના મતે શિયાળા દરમિયાન હૃદય સંબધિત સમસ્યા ધરાવનારાઓએ વિશેષ તકેદારી રાખવી હિતાવહ છે.


તજજ્ઞાોના મતે શિયાળામાં હૃદયની નળીઓ સાંકડી બની જાય છે. તેને કારણે હૃદયના ધબકારા અને બ્લડ પ્રેશરમાં વધારો થાય છે. શિયાળામાં વધુ કેલેરી વાળો ખોરાક એ હૃદયની સમસ્યામાં વધારો થવાનું અન્ય એક કારણ છે. અગાઉના સમયમાં લોકો એટલા શારીરિક સક્રિય હતા, જેના કારણે ઘીથી ભરપૂર અડદિયા આસાનીથી પચાવી જતા હતા. પરંતુ હાલના સમયમાં હૃદયની સમસ્યા ધરાવનારાઓ માટે આ પ્રકારના ઘીથી ભરપૂર વસાણા ખાવા હિતાવહ નથી. કાતિલ ઠંડીને કારણે આ વખતે હાર્ટ એટેક કરતાં હાર્ટ ફેલ્યોરના કેસમાં વધારો થયો છે.


આ ઉપરાંત પ્લાઝમા લેવલમાં ફરક કે લોહી જામી જવાનું પરિબળ, પ્લેટલેટમાં કુલ વધારો, બ્લડપ્રેશર અને કોલેસ્ટેરોલમાં વધઘટ, અંતઃસ્ત્રાવમાં ફેરફારો, અંગોમાં લોહીના માગ-પુરવઠાના રેશિયોમાં વધારો, વેસોકન્સ્ટ્રિક્શન અને કેટેકોલામાઇન સ્તરમાં વધારો તથા બોડી મેટાબોલિકમાં વધારો સહિતના કેટલાંક પરિબળો છે, જે શિયાળા દરમિયાન હૃદયરોગના હુમલા માટે  ભૂમિકા ભજવતા હોય છે. શિયાળામાં ધમનીઓમાં ખેંચ અને એક્યુટ કોરોનરી સિન્ડ્રોમ જેવી તકલીફોમાં વધારો જોવા મળે છે.શિયાળામાં સ્થૂળતા, ધૂમ્રપાનની આદત ધરાવતા અને અનિયમિત જીવનશૈલી ધરાવતા લોકોને વધુ તકલીફ પડે છે. જેના કારણે શિયાળામાં એક્ટિવ રહેવું અને યોગ્ય ડાયટ પાળવું જરૃરી છે. વાતાવરણમાં પ્રદૂષણને કારણે પણ છાતીમાં ગભરામણ થઈ શકે છે. તેને કારણે ઈન્ફેક્શનની શક્યતા વધે છે.


જે લોકોને હૃદયની સમસ્યા  હોય તેમણે ખાવા-પીવામાં ખાસ ધ્યાન રાખવું અને બ્લડ પ્રેશર પર ચાંપતી નજર રાખવી હિતાવહ છે. શિયાળામાં ફ્રૂટ અને લીલા શાકભાજીનું પ્રમાણ વધારવું જોઇએ.આ ઉપરાંત અનેક લોકો માત્ર શિયાળા દરમિયાન જ કસરત માટે વધુ સમય ફાળવે છે જ્યારે અન્ય મોસમમાં કસરત કરતા નથી. આ બાબત પણ યોગ્ય નથી. જો તમે શિયાળામાં ઘણા લાંબા સમય પછી કસરત કરતા હોવ તો તમારા ડોક્ટરને જાણ કરો. શરીરને વધારે પડતો તાણ ન આપો, વોર્મ અપમાં વધુ સમય ફાળવો.હૃદય અંગે સહેજપણ સમસ્યા જણાય તો ડોક્ટરનો સંપર્ક કરવો જ યોગ્ય છે.