અમદાવાદ: ગુરુવારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ગુરુવારે આખો દિવસ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો હતો જોકે બપોર બાદ સાબરકાંઠા, પાટણ અને બનાસકાંઠામાં વરસાદ તુટી પડ્યો હતો. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતાં.

સવારે છ વાગ્યાથી સાંજના ચાર વાગ્યા સુધી સૌથી વધારે સિદ્ધપુરમાં ત્રણ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત સાબરકાંઠાના ભિલોડામાં અઢી ઈંચ વરસાદ ખાબક્યો હતો. સાબરકાંઠા જીલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.

બપોર બાદ પડેલા ધોધમાર વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતાં. હિંમતનગરમાં પણ રોડ પર વરસાદી પાણી ફરી વળ્યાં હતાં. જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

બનાસકાંઠાના વરસાદના આંકડાની વાત કરીએ તો દાંતા 108 મીમી, અમીરગઢ 89 મીમી, પાલનપુર 78 મીમી, વડગામ 69 મીમી, દાંતીવાડા 60 મીમી અને લાખણી 50 મીમી વરસાદ નોંધાયો હતો.

સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલ વરસાદની વાત કરીએ તો, પોશીના 155 મીમી, ખેડબ્રહ્મા 110 મીમી, ઈડર 73 મીમી, વિજયનગર 70 મીમી, હિંમતનગરમાં 63 મીમી અને વડાલીમાં 60 મીમી વરસાદ નોંધાયો હતો.

અરવલ્લીમાં 24 કલાકમાં મોડાસા અને ભિલોડામાં 3 ઈંચ વરસાદ ખાબક્યો હતો. માલપુર અને મેઘરજમાં 2.5 ઈંચ વરસાદ ખાબક્યો જ્યારે ધનસુરા અને બાયડ સહિતના વિસ્તારોમાં 1-1 ઈંચ વરસાદ ખાબક્યો હતો.

છેલ્લા 24 કલાકમાં પાટણ જિલ્લામાં હારીજ 125 મીમી, સિદ્ધપુર 101 મીમી, પાટણ 50 મીમી અને સમી 51 મીમી વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા. જેને લઈને ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.