ભાવનગરઃ પાલિતાણામાં ખૂદ પતિ એજ પત્નીની હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. પત્નીની હત્યા પછી યુવક લાશ એક્ટિવા પર મૂકીને ફેંકવા જઈ રહ્યો હતો, ત્યારે રસ્તામાં લોકો યુવતીના પગ એક્ટિવામાંથી નીચે ઢસડાતા જોઈ ગયા હતા. જેથી તેમણે યુવકને અટકાવવાના પ્રયાસ કર્યો હતો. જોકે, યુવક ત્યાંથી નાસી ગયો હતો.


યુવક ભાગી જતાં ગામલોકોએ તેનો પીછો કર્યો હતો અને રોહીશાળા ગામની સીમમાં તેને ઝડપી પાડી પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી પાલિતાણા રૂરલ અને ટાઉન પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે તપાસ કરતાં એક્ટિવા પરથી યુવતીની લાશ મળી આવી હતી.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, પાલિતાણાના સિંધી કેમ્પમાં રહેતાં અમિત મથુરદાસ હેમનાણી અને તેમના પત્ની નયનાબેન વચ્ચે ઘર કંકાસ હતો. આ ઝઘડામાં અમિતે પત્ની નયનાબેનની હત્યા કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ તો નયનાબેનના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડાયો છે. પોલીસ તપાસ બાદ હત્યા કઈ રીતે કરવામાં આવી તે જાણી શકાશે.