અમદાવાદઃ ગુજરાત તરફ આવી રહેલું મહા વાવાઝોડું (MAHA Cyclone) ઓમાન તરફ ફંટાયા બાદ હવે વાવાઝોડું પાછું ગુજરાત તરફ આવી રહ્યું છે. આ વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારે ટકરાશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. વાવાઝોડું ગુજરાત તરફ આવી રહ્યું છે તેની અસર પણ વર્તાવા લાગી છે, થરાદ અને વાવમાં દોઢ ઈંચ જેટલો વરસાદ થયો છે.


આક્રામક સ્વરુપ ધારાણ કર્યા બાદ તોફાની મહા વાવાઝોડું વેરાવળથી 580 કિલોમીટર (11am)ના અંતરે છે. મહા વાવાઝોડું 6 નવેમ્બરની મધ્ય રાત્રી/7 નવેમ્બરની વહેલી સવારે દીવ અને દ્વારકાની વચ્ચે દરિયા કાંઠા પર ટકરાશે. આ વાવાઝોડું 4 નવેમ્બરથી ગુજરાત તરફ પાછું ફરવાની શરુઆત કરશે. આક્રમક બનીને ગુજરાત આવી રહેલું વાવાઝોડું 5મી નવેમ્બરે થોડું ઠંડું પડી શકે છે.

જ્યારથી લો પ્રેશર સર્જાયું છે ત્યારથી ભારતીય હવામાન વિભાગ દ્વારા પળેપળનું મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે. હવામાન વિભાગની સૂચનાના પગલે સરકારે ગુજરાતના દરિયા કાંઠાના જિલ્લાના કલેકટરોને સૂચના આપી દીધી છે. રાજ્ય સરકાર દ્વારા NDRFને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.

6 અને 7 નવેમ્બરે રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી છે. છ તારીખે સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે. જો કે હવામાન વિભાગનું કહેવું છે કે જેમ જેમ વાવાઝોડું ગુજરાત નજીક પહોંચશે તેમ ઉત્તરોતર નબળું પડશે. ગુજરાત નજીક પહોંચતા પહેલા તે સાયકલોનિક સ્ટોર્મની કેટેગરીમાં ફેરવાઇ જશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે વાવાઝોડું 6 નવેમ્બરની મધરાતે દિવથી દ્વારકા વચ્ચેના વિસ્તારમાં લેન્ડફોલ કરી શકે છે.

મહા વાવાઝોડાની સૌથી વધુ અસર 6 નવેમ્બરે સૌરાષ્ટ્રના બોટાદ, ભાવનગર, અમરેલી, દ્વારકા, ગીર સોમનાથ અને જૂનાગઢમાં જોવા મળશે. જ્યારે 7 નવેમ્બરે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાપટા પડશે. હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપી છે.

4 નવેમ્બરે વાવાઝોડાની અસરને પગલે કચ્છ સૌરાષ્ટ્રમાં છૂટો છવાયો વરસાદ જ્યારે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં કેટલાક સ્થળોએ વરસાદ પડી શકે છે. 5 નવેમ્બરે પણ આજ સ્થિતિ યથાવત રહી શકે છે.