ગાંધીનગરઃ રાજ્યમાં દિવસેને દિવસે કોરોનાનો કહેર વધી રહ્યો છે. ત્યારે રાજકીય ક્ષેત્રે પણ કોરોના સતત ફેલાઈ રહ્યો છે. જેથી નેતાઓમાં પણ કોરોનાનો ફફડાટ જોવા મળી રહ્યો છે.


રૂપાણી સરકારના મંત્રી રમણ પાટકર પછી સરકારના કુટિર ઉદ્યોગ રાજ્યમંત્રી ધમેંદ્રસિંહ જાડેજા કોરોના સંક્રમિત થતા ગાંધીનગરમાં ચિંતાનો માહોલ છે. હર્ષ સંઘવી અને હર્ષદ રિબડિયાને પણ કોરોનાને ચેપ લાગતા રાજ્યમાં કોરોનાની ઝપેટમાં આવેલા કુલ ધારાસભ્યોની સંખ્યા 18એ પહોંચી ગઈ છે.

આજ કારણ છે કે આવનારા દિવસોમાં વિધાનસભાનું ચોમાસુ સત્ર ક્યારે બોલાવવું તેને લઈ હવે સવાલ ઉભા થઈ રહ્યા છે. ગુરુવારે કોરોના પોઝિટિવ આવતા પોતાના સંપર્કમાં આવેલા લોકોને કોરેન્ટાઈન થવા અને આરોગ્યની ચકાસણી કરાવની અપીલ કરનાર મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા ગુરુવારે કેબિનેટ બેઠકમાં હાજર રહ્યા હતા. જોકે હાલમાં રાજ્ય સરાકરના મંત્રીઓના કાર્યક્રમો યથાવત છે.

બીજી તરફ મંત્રી નિવાસમાં તેમના બંગલામાં રહેનારા 3 લોકોને કોરેન્ટાઈન કરાયા છે. સાથે જ તેમના કાર્યાલયના બાકીના સભ્યોના ટેસ્ટ પણ કરાવવાના છે. માત્ર ધારાસભ્યો અને મંત્રી જ નહીં પરંતુ આ પહેલા રમેશ થડૂક બાદ અને બાદમાં કિરીટ સોલંકીને કોરોનાને ચેપ લાગતા રાજ્યના 26 સાંસદો પૈકી લોકસભાના 2 સાંસદો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે.