Kutch Diwali Holiday: આજથી ગુજરાતમાં નવુ વર્ષ શરૂ થઇ રહ્યું છે. વિક્રમ સંવત 2080ની શરૂઆત આજથી થઇ રહી છે, ત્યારે ગુજરાતીઓ હરવા ફરવા નીકળ્યાં છે, આજથી કચ્છ સહિતના સ્થળોમાં મોટી સંખ્યામા માનવ મહેરાણણ ઉમટ્યુ છે. આજથી કચ્છમાં પ્રવાસીઓનો જોરદાર ધસારો જોવા મળી રહ્યો છે. જિલ્લામાં આવેલા પ્રવાસી સ્થળ સફેદ રણ, કાળો ડુંગર સહિત કેટલાય ધાર્મિક સ્થળો પર હજારોની સંખ્યામાં આજે વહેલી સવારથી જ પ્રવાસીઓ ઉમટ્યા છે. સફેદ રણમાં ૧૫ હજારથી વધુ લોકોએ રણનું સૌંદર્ય માણ્યું છે, તો વળી, ૫ હજારથી પણ વધુ પ્રવાસીઓ કાળો ડુંગરના પ્રવાસે છે. આ દિવાળીના વેકેશનના માહોલમાં જિલ્લામાં ભુજની આસપાસ ૧૨૫થી પણ વધુ હૉટલો ફૂલ થઇ ગઇ છે, જેમાં ૪ હજાર રૂમ એક અઠવાડિયા માટે હાઉસફૂલ થઇ ગયા છે. 


મહત્વનું છે કે, આ તહેવારો ટાણે અહીં હજુ પણ વધુ પ્રવાસીઓનો ધસારો રહે તેવી પુરેપુરી શક્યતા છે. લાભ પાંચમ સુંધી ૨ લાખથી પણ વધુ પ્રવાસીઓ માતાનાં મઢ પહોંચશે, જેને લઇને પહેલાથી જ માતાનાં મઢ ટ્રસ્ટ દ્વારા ખાસ તૈયારીઓ કરી દેવામાં આવી છે. કચ્છમાં આ વર્ષે રેકોર્ડ બ્રેક પ્રવાસીઓ ઉમટ્યા છે, સાથે સાથે વિદેશી પ્રવાસીઓ પણ મોટી સંખ્યામાં જોવા મળ્યા છે. 


મોરારી બાપુએ આપી દિવાળીની શુભકામના, કહ્યું, તમામ યુદ્ધોનો અંત થાય તેવી પ્રાર્થના


દિવાળી અને નવા વર્ષની ઉમંગભેર ઉજવણીના ઉત્સાહ વચ્ચે આધ્યાત્મિક ગુરુ અને રામચરિતમાનસના કથાકાર પૂજ્ય મોરારી બાપુએ દેશવાસીઓને તહેવારોની શુભેચ્છાઓ પાઠવી છે. મોરારી બાપુએ દિવાળી અને નવા વર્ષના શુભ અવસર પર લોકોને પ્રકાશનો માર્ગ અપનાવવાની પ્રેરણા આપવાની સાથે હાર્દિક શુભકામનાઓ પાઠવી છે. ઋગ્વેદને ટાંકતા મોરારી બાપુએ આપણા જીવનમાં પ્રકાશના મહત્વ પર ભાર મૂકતા જ્ઞાનના ગૂઢ રહસ્યો સમજાવ્યા છે.


મોરારી બાપુએ જણાવે છે કે, આપણા ઋષિ મુનિઓના ઉપદેશો પ્રકાશમયી જીવન પર ભાર મૂકે છે, જેવું કે ઉપનિષદના મંત્ર 'તમસો મા જ્યોતિર્ગમય' માં વર્ણવ્યું છે, તેમાં આપણને અહંકાર, દુર્ગુણો અને અજ્ઞાનથી દૂર થઈને પ્રકાશ તરફ આગળ વધવા પ્રેરિત કરવામાં આવ્યા છે. દિવાળીનો તહેવાર અંધકાર પર પ્રકાશની જીતનું પ્રતીક છે. તેમણે દરેક વ્યક્તિને ભૌતિક લાલસા, સંપત્તિ અથવા હોદ્દાની સરખામણીએ આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરવા માટે પ્રોત્સાહિત કર્યા છે.


તેમણે દરેક વ્યક્તિના જીવનમાં ઉત્સાહ અને આનંદ આવે તેની માટે ભગવાન હનુમાનના ચરણોમાં પ્રાર્થના કરી અને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.  દુનિયાના કલ્યાણ માટે ચિંતા વ્યક્ત કરતા, મોરારી બાપુએ નિર્દોષ લોકોના દુ:ખ દર્દને સમજવાનો અને તમામ યુદ્ધોનો અંત થાય તેવી પ્રાર્થના કરી હતી. તેમણે ઉમેર્યું કે, “ભારત રામ -કૃષ્ણ અને ભગવાન બુદ્ધ અને ઋષિ-મુનિઓની ભૂમિ છે. ચાલો આપણે મહાન દેશની ‘વસુધૈવ કુટુંબકમ’ (વિશ્વ એક પરિવાર છે) ની ભાવનાને અપનાવીયે અને સુખ, અખંડિતતા અને પવિત્રતાના મૂલ્યોનો પ્રસાર કરીયે અને દુનિયામાં સૌહાર્દ અને શાંતિનો પ્રચાર કરીયે.”


હાર્ટ એટેકથી થઈ રહેલા મોતને લઈને મોરારિ બાપુએ ચિંતા વ્યક્ત કરી છે. મહુવા ખાતે રામકથાની પૂર્ણહુતિ સમયે તેમણે ચિંતા વ્યક્ત કરી. મોરારી બાપુએ કહ્યું કે, તાળી પાડો અને રામનું નામ લો એટલે હાર્ટ અટેક નહીં આવે. તેમણે વધુમાં કહ્યું કે, હાર્ટ અટેકથી બચવા તાળી પાડો, બંધ નળીઓ ખુલી જશે. તાળી પાડવાથી હાર્ટ અટેકથી નહીં આવે.


મહુવા ખાતે ચાલતી રામકથાની પૂર્ણાહુતિ સમયે મોરારિબાપુએ હાર્ટ એટેકને લઈ ચિંતા વ્યક્ત કરી. મોરારિબાપુએ કથા દરમ્યાન તાળી પાડીને રામ નામ લ્યો ભજન ગાતાં સમયે હાર્ટ એટેક પર વાત કરી. મોરારિબાપુએ કહ્યું હાર્ટ એટેકથી બચવા તાળીઓ પાડવાથી આપો આપ બંધ નળીઓ ખુલી જશે. જૂના જમાનામાં ઋષિ મુનિઓ તાળી પાડીને ભજનો ગાતા હતા તેમને ક્યારેય હાર્ટ એટેક નહોતા આવતા. ગામડાનાં લોકો ગરબા ભજન સમયે ઉલી ઊલી ને તાલી પાડતા હોય છે એને હાર્ટ એટેક નથી આવતો ને આજે યુવાનો કહે છે મારી નળી બંધ થઈ ગઈ. હુ કહું છું તાલી પાડીને અંતરનાં દરવાજા ખોલજો એટેક નહિ આવે.