કોરોના મહામારીના પગલે જો તમે વર્ષ 2019-20ના શૈક્ષણિક વર્ષમાં ધોરણ 9 થી 12માં પ્રવેશથી વંચિત રહી ગયા હોવ તો તમામ માટે પ્રવેશ મેળવવાની હવે અંતિમ તક છે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે કોરોનાના કારણે પ્રવેશથી વંચિત રહેલા વિદ્યાર્થીઓને પ્રવેશ મેળવવા માટે અપાયેલી તકની મુદત 31મી જાન્યુઆરીએ પૂર્ણ થવા જઈ રહી છે.


હવે મુદતમાં કોઈ વધારો કરવામાં નહીં આવે. સામાન્ય રીતે દર વર્ષે શાળા કક્ષાએ પ્રવેશ માટે 31 ઓગસ્ટ અંતિમ તારીખ હોય છે. જે પછી પ્રવેશ કાર્યવાહી પૂર્ણ જાહેર કરવામાં આવતી હોય છે. જોકે કોરનાના કારણે વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી શક્યા નહિ, જેથી ઓક્ટોબર, નવેમ્બર, ડીસેમ્બર અને જાન્યુઆરી મહિનાની અંતિમ તારીખ સુધી deo કક્ષાએથી પરવાનગી બાદ પ્રવેશ ની છૂટ આપી હતી.

કોરોનાના કારણે લોકડાઉન થતા જ સ્કૂલોમાં શૈક્ષણિક કાર્ય ઠપ્પ થઇ ગયુ હતુ. વિદ્યાર્થીઓ ઘરે બેસીને ઓનલાઇન અભ્યાસ કરી રહ્યા હતા. દરમિયાન સ્કૂલોમાં પ્રવેશ પ્રકિયા તો ચાલુ જ હતી. સાથે જ લોકડાઉનના કારણે જે વિદ્યાર્થીઓ વતન ચાલ્યા ગયા હતા, તેમના માટે ખાસ પ્રવેશ પ્રકિયા હાથ ધરાઇ હતી. ત્યારબાદ અનલોકમાં પણ ધો.૯ થી ૧૨માં પ્રવેશ વંચિત વિદ્યાર્થીઓ માટે પ્રવેશ પ્રકિયા ચાલુ જ હતી. ચાર-ચાર વખત પ્રવેશ પ્રકિયા લંબાવાઇ છતાં પણ વિદ્યાર્થીઓ પ્રવેશ વંચિત રહી ગયાની ફરિયાદો ઉઠતા આખરે રાજયના શિક્ષણ વિભાગે 31 મી જાન્યુઆરીની આખરી તારીખ આપી દીધી છે. આ તારીખ સુધીમાં જિલ્લા શિક્ષણાધિકારીની મંજુરી મેળવીને શાળામાં પ્રવેશ મળશે. આ છેલ્લી તક આપવામાં આવે છે. હવે પછી તારીખ લંબાવવામાં આવશે નહીં.