સમગ્ર ગીરના જંગલમાં વર્ષ 2014થી પુનમે સિંહ અવલોકન કરવામાં આવે છે. તેમ છતાં આવતી કાલથી ગીરના જંગલમાં કરવામાં આવનારૂં સિંહ અવલોકન ઘણી રીતે અલગ તરી આવે છે. પહેલાં સિંહ ગણતરી કોઈ પણ બહારની વ્યક્તિઓ, મીડિયા અને એન.જી.ઓ. વગર કરવાની પ્રબળ તૈયારી વનતંત્ર દ્વારા કરવામાં આવી હતી અને પોતાની પીઠ થપ થપાવવા તખ્તો તૈયાર કરવામાં આવ્યો હતો. પરંતુ લોકો, વન્યપ્રેમી, વિરોધ પક્ષ સહિતનાઓના ઉગ્ર વિરોધ વચ્ચે હવે આ સિંહ ગણતરી નથી માત્ર પૂનમ અવલોકન છે તેવું સતાવાર જાહેર કરવામાં આવ્યું હતું.


આ માત્ર ઉગ્ર રોષ ખાળવા જાહેર કરવામાં આવ્યું છે કે કેમ તે પણ મહત્વનો સવાલ છે. કારણ કે અવલોકનમાં માત્ર કેટલા સિંહો હોય છે. તે જ કહેવાનું હોય છે અને આ અવલોકન સિંહ ગણતરીની જેમ પત્રક બનાવી ફોટા પાડીને એપ દ્વારા અપલોડ કરી ફોરેન્ટર- ટુ આર.એફ.ઓ, આર.એફ.ઓ. ટુ એ.સી.જી. અને આખરે અંતિમ રિપોર્ટ સી.સી.એફ. તૈયાર કરશે. જેમાં 10 દિવસનો સમયગાળો લાગશે જેથી હજુ પણ આ સિંહ ગણતરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

ગીરના જંગલમાં ટપોટપ સિંહના મોત થયા હતા. ખાસ કરીને ધારી ગીર પૂર્વમાં સત્તાવાર 30 જેટલા સિંહોનાં મોત થયાનું જાહેર કરવામાં આવ્યું છે. જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે રાખવામાં આવેલા સિંહોના મોતનો આંકડો ક્યારેય બહાર આવ્યો નથી. વિરોધ પક્ષના નેતાએ પણ 70થી વધુ સિંહો મોતને ભેટ્યાનું તર્કબદ્ધ રીતે સરકાર સમક્ષ જાહેર કર્યું છે. તે બધાં વચ્ચે અચાનક જ સિંહ ગણાતરીનું તૂત સામે આવ્યું હતું. સમગ્ર દેશમાં જ્યારે કોરોનાના લીધે મેળાવડા બંધ છે.

ત્યારે એક માત્ર વનવિભાગ ગીરમાં સિંહોની વસતી ગણતરી કરે તે કેટેલા અંશે યોગ્ય છે. તેમ છતાં મોટા પ્રમાણમાં સિંહો મોતને ભેટ્યા હોય અને તેનો વાસ્તવિક આંકડો છુપાવવા તેમજ ગણતરી અથવા અવલોકનના નામે સિંહો વધુ છે. તેવું દર્શાવી લોકરોષ શાંત પાડવાનું કામ આ અવલોકન અથવા તો ગણતરીના નામે થઈ રહ્યું છે. જે સિંહ, માટે ઘાતક પુરવાર થશે. એવું કહેવાય છે. સિંહને 2018થી લાગેલુ વાયરસનું સંક્રમણ રજુ કેટલા સિંહોનો ભોગ લેશે તે કહેવું અન્યત મુશ્કેલ છે. આ બધાની વચ્ચે અબોલ જંગલનો રાજા હાલ અસહાય અને લાચાર જોવા મળી રહ્યો છે.