ભાવનગરઃ રાણપુર તાલુકાના ગુંદા ગામની સીમમાં પતિએ પત્નીની હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. પતિને અન્ય મહિલા સાથે આડાસંબંધ હોવાની શંકા પત્ની વારંવાર કરતી હોવાથી ઉશ્કેરાયેલા પતિએ પત્નીની હત્યા કરી નાંખી હતી. રાણપુર પોલીસે આરોપી સામે હત્યાનો ગુનો દાખલ કરી નજર કેદ કર્યો છે. કોરોના રિપોર્ટ પછી આરોપીની ધરપકડ કરાશે.


આ અંગેની વિગતો એવી છે કે, મૂળ ધંધુકા તાલુકાના ગણસાણાના વતની અને હાલ રાણપુરના ગુંદા ગામની સીમમાં રહેતા મુકેશ પ્રભુભાઈ કોલદરાના 16 વર્ષ પહેલા રેખાબેન સાથે લગ્ન થયા હતા. લગ્નજીવન દરમિયાન પત્ની વારંવાર પતિને અન્ય મહિલા સાથે આડાસંબંધ હોવાનો શક કરતી હતી. જેને કારણે પતિ-પત્ની વચ્ચે ઝઘડા થતા હતા.

ગુરુવારે રાત્રે આ મુદ્દે જ પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો, જેમાં ઉશ્કેરાયેલા પતિએ લોખંડનો દાઢો માથામાં મારતાં મહિલાનું મોત નીપજ્યું હતું. આ અંગે મહિલાના પિતાએ રાણપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનાને પગલે ગુંદા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે.