મોડાસા: મોડાસાના સાયરાની યુવતીના મોત મામલે એસસી-એસટી કમિશન દ્વારા યુવતીના પરિવારજનોની મુલાકાત લેવામાં આવી હતી. કમિશન દ્વારા યુવતીના પરિવારજનોને અનુસુચિત અત્યાચાર નિવારણ ધારા હેઠળ 4.12 લાખની ઓન લાઈન સહાય ચૂકવવામાં આવી હતી.


અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકામાં આવેલા અમરાપુર ગામની યુવતીનો સાયરા ગામની સીમમાંથી એક જાડ ઉપરથી ગત 5 જાન્યુઆરીએ ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જેના પગલે પરિવારજનોમાં આક્રોશ ફેલાઈ ગયો હતો. આ ઘટના અંગે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ચાર આરોપીઓ સામે યુવતીના અપહરણ, સામુહિક દુષ્કર્મ અને હત્યાનો ગુન્હો નોંધવામાં આવ્યો છે.

આ ઘટના બાદ લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. બીજી તરફ યુવતીના મોતને પાંચ દિવસ વીતવા છતાં પણ પોલીસ દ્વારા પોસ્ટ મોર્ટમ રીપોર્ટ અંગે કોઈ પણ ખુલાસો કરવામાં આવ્યો નથી. જેના કારણે યુવતીના મોત મામલે અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે. ત્યારે આ ઘટના બાદ પોસ્ટ મોર્ટમ વખતે હાજર પંચે જણાવ્યું હતું કે, યુવતીના શરીરે નખ માર્યાના નિશાન પણ જોવા મળ્યાં હતાં અને હાજર રહેનાર પરિવારજનોએ આરોપ પણ લગાવ્યો છે.

યુવતીના મોત મામલે એસસી એસટી કમિશનના ડાયરેક્ટરે યુવતીના ઘરે જઈ પરિવારની મુલાકાત લીધી હતી. આ બનાવ મામલે રીપોર્ટ બનાવવા મામલે માહિતી લીધી હતી અને અનુસુચિત અત્યાચાર નિવારણ ધારા હેઠળ 4.12 લાખની ઓનલાઈન સહાય ચૂકવાઈ હતી જ્યારે સમગ્ર મામલે ચાર્જશીટ દાખલ થયા બાદ વધુ 4 લાખ રૂપિયાની સહાય ચૂકવાશે. આ મામલે જે કોઈ અધિકારી દોષિત જણાશે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.

બુધવારે 8 જાન્યુઆરી પીએમ કરાવ્યા બાદ યુવતીના માતા-પિતાની તબિયત લથડતાં મોડી રાત્રે 2 વાગ્યે મૃતદેહ સ્વીકારીને પરિવાર વતન લઈ જવામાં આવ્યો હતો. શુક્રવારે 9 જાન્યુઆરીએ સમાજની રીતરિવાજ મુજબ મોટી સંખ્યામાં લોકોની હાજરીમાં અંતિમવિધિ કરવામાં આવી હતી.