Rain: રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયાથી વધુ સમયથી વરસાદ વરસી રહ્યો છે. દક્ષિણ ગુજરાતથી લઇને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાય વિસ્તારમાં મેઘરાજાએ કહેર વર્તાવ્યો છે. ત્યારે હવે આ બધાની વચ્ચે હવામાન વિભાગ અને આગાહીકારો હજુપણ ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી રહ્યાં છે. ગઇકાલે મધ્ય ગુજરાતના ભરૂચ જિલ્લામાં સાંબેલાદાર વરસાદ ખાબક્યો છે. છેલ્લા 24 કલાકમાં ભરૂચના વાલિયામાં 12 ઇંચ વરસાદ ખાબકતા લોકોનું જીવન અસ્તવ્યસ્ત બની ગયુ છે. ઘરોમાં પાણી ઘૂસ્યા અને સ્કૂલો અને કૉલેજોમાં રજાઓ જાહેર કરાઇ છે.


માહિતી પ્રમાણે, રાજ્યમાં મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ગઇકાલે ભરૂચના વાલિયામાં સાંબેલાધાર 12 ઈંચ વરસાદથી પાણી-પાણી થયુ છે. ભરૂચમાં ભારે વરસાદથી દોલતપુર ગામને જોડતા કૉઝ-વે બંધ કરાતા વાહન વ્યવહાર બંધ કરાયો છે. સોડગામ જવાના મુખ્યમાર્ગ પર પણ પાણીના કારણે વાહન વ્યવહાર ઠપ્પ છે. હાલની સ્થિતિમાં વાલિયાના નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા છે. ભારે વરસાદના કારણે ભરૂચ તાલુકાની શાળાઓમાં રજાઓ જાહેર કરાઇ છે. 




વાલિયા પંથકમાં 12 ઈંચથી વધુ વરસાદથી જ્યાં જુઓ ત્યાં જળની સ્થિતિ છે. વાલિયાનું ડહેલી ગામ પાણીમાં ગરકાવ થયું છે. મુખ્ય બજાર અને લોકોના ઘરોમાં પાણી ભરાયા હતા. વાલિયાના દેસાડ અને સોડગામ પણ બેટમાં ફેરવાયા હતા. વનખાડી અને કીમ નદીના પાણી ફરી વળ્યા હતા. વાલિયાથી માંગરોળ અને અંકલેશ્વરના માર્ગ પર પાણી ભરાયા હતા. વાલિયાના ડહેલીમાં મહાદેવ મંદિર પાણીમાં જળમગ્ન થયા છે. વાલિયાના દેસાળ ગામના ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. ગામમાં નદીના ધસમસતા પાણી જોવા મળી રહ્યા છે. ગામમાં પાણી ઘૂસતા ગામ લોકોને અન્ય સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. દેહલી બાદ દેસાળ ગામમાં પણ લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા હતા. કિમ નદીનું જળસ્તર વધતા લોકો ગામ છોડી જવા મજબૂર બન્યા છે.


મહીસાગર જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં લુણાવાડામાં સાડા પાંચ ઈંચ વરસાદ વરસ્યો હતો. વીરપુર તાલુકામાં સાડા ચાર ઈંચ વરસાદ વરસ્યો હતો. બાલાસિનોરમાં ચાર ઈંચ વરસાદ થયો હતો. ખાનપુર, કડાણા, સંતરામપુરમાં ત્રણ ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો. મહીસાગર જિલ્લાનો કડાણા ડેમ હાઈએલર્ટ પર છે. કડાણા ડેમ 94.81 ટકા ભરાતા હાઈએલર્ટ જાહેર કરાયો છે. ડેમમાં હાલ 57 હજાર 818 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે જ્યારે 45 હજાર 180 ક્યુસેક પાણીની જાવક થઇ છે. ડેમના પાંચ ગેટ ખોલી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમમાંથી પાણી છોડાતા કાંઠા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. ધોધમાર વરસાદથી સુરત જિલ્લાનું વડોલી ગામ સંપર્ક વિહોણું થયું છે. ટોકરી નદીના પાણી ગામની ચારેય બાજુ ફરી વળ્યા હતા. ભારે વરસાદથી ટોકરી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. માંગરોળ તાલુકામાં મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો. સુરતના ઓલપાડના કીમ ગામે જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. કીમમાં ભારે વરસાદથી સ્ટેટ હાઈવે પર ઘૂંટણસમા પાણી ભરાયા હતા. કીમ રેલવે ઓવરબ્રિજના સર્વિસ રોડ પર પણ પાણી ભરાયા હતા. અમૃતનગર, પોસ્ટ ઓફિસ રોડ, અજમેરી નગર વિસ્તાર બેટમાં ફેરવાયો હતો.


રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 183 તાલુકામાં ધોધમાર વરસાદ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વાલીયામાં 12 ઈંચ વરસાદ ખાબક્યો છે, જ્યારે સોનગઢમાં સવા 10 ઈંચ, વ્યારામાં સવા 9 ઈંચ, અને સુરતના માંગરોળ અને વઘઈમાં 8-8 ઇંચ વરસાદ ખાબક્યો છે. 


આ પણ વાંચો


Rain: ગુજરાત માથે હજુ 6 દિવસનો ખતરો, 3થી 9 સપ્ટે. સુધી આ વિસ્તારોમાં વરસાદનું જોર વધશે