Gujarat Rain Update: ગુજરાતમાં આ વર્ષે મુશળધાર વરસાદ પડ્યો છે. જો કે, હજી પણ વરસાદે વિરામ લીધો નથી. રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદને કારણે રાજ્યના અનેક જળાશયોમાં નવા નીર આવ્યા છે. તાજેતરના આંકડા પ્રમાણે રાજ્યના 207 જળાશયોમાં 80% કરતા વધુ જળસંગ્રહ થયો છે. 86 જળાશયો હાઇ એલર્ટ પર મુકાયેલા છે. 15 જળાશયો એલર્ટ પર મુકાયેલા છે. 85 જળાશયોમાં 90% કરતા વધુ જળસંગ્રહ થયો છે. 15 જળાશયોમાં 80-90% પાણી સંગ્રહ થયો છે જ્યારે 89 જળાશયોમાં 70% કરતા ઓછુ પાણી ભરાયું છે.


બનાસકાંઠા જિલ્લામાં વરસાદ બાદ ઠેર ઠેર તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. ડીસાના શેરપુરા ગામમાં રહેણાક મકાનોમાં પાણી ઘૂસી જતા ચીજ વસ્તુ સહિત ઘરવખરીને નુકસાન થયું છે. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદે વિરામ લેતાની સાથે જ ડીસા તાલુકાના અનેક ગામડાઓ સંપર્ક વિહોણા થયા છે. ડીસાના શેરપુરા ગામે 10થી 15 ઘરમાં પાણી ઘૂસી જતા તંત્ર પહેલા એબીપી અસ્મિતાની ટીમ પહોંચી હતી. શેરપુરામાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે જોવા મળી રહ્યું છે, તો ખેતરો પણ બેટમાં ફેરવાઈ ગયા છે. ગોસ્વામી પરિવારના 10 જેટલા ઘર પાણીમાં ગરકાવ જોવા મળ્યા છે તો બીજી તરફ પાણીમાં ઘરકાવ ઘર થતાં ઘરવખરી જાનમાલ અને ચીજ વસ્તુઓને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.


સંત સરોવરના ૨૧ દરવાજામાંથી ૭ દરવાજા બંધ કરી દેવામાં આવ્યા


ગાંધીનગરમાં સાબરમતી નદી આજે પણ બે કાંઠે વહી રહી છે. ધરોઈ બંધમાંથી પાણીનો આવરો ઓછો થતાં ગાંધીનગરમાં સંત સરોવરના ૨૧ દરવાજામાંથી ૭ દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે. ૧૪ દરવાજા ખુલ્લા રાખીને હજુ પણ ૩૨,૨૩૦ ક્યુસેક્સ પાણી વાસણા બેરેજ તરફ છોડવામાં આવી રહ્યું છે. લાકરોડા બેરેજ તરફથી હજુ પણ પાણીની આવક ચાલુ રહેતાં સંત સરોવરની સપાટી ઊંચી આવશે. નદી કાંઠાના ગામોમાં વસતા નાગરિકોને સલામતીના કારણોસર કાંઠા વિસ્તારમાં નહીં જવાની સૂચના આપવામાં આવી છે. નિવાસી અધિક કલેકટર રિતુ સિંઘે સલામતીના કારણોસર તમામ કર્મચારીઓ-અધિકારીઓને હેડક્વાર્ટર નહીં છોડવાના આદેશો આપ્યા છે. જિલ્લાના અધિકારીઓ-કર્મચારીઓની રજાઓ મંજૂર નહીં કરવાની સૂચનાઓ પણ આપવામાં આવી છે.


લાકરોડા બેરેજમાંથી પાણી છોડવાનું ઓછું કરાયું


ગુરુવારે સાંજે ૬.૦૦ વાગ્યાની સ્થિતિએ ધરોઈ બંધમાંથી ૨૩,૦૭૨ ક્યુસેક્સ પાણી છોડવામાં આવી રહ્યું છે. બુધવારની મધરાતે ધરોઈ બંધમાંથી ૬૬,૦૫૦ ક્યુસેક્સ પાણી છોડવામાં આવ્યું હતું. પરંતુ હવે ધરોઈ બંધમાંથી પાણી છોડવાનું ઓછું થતાં લાકરોડા બેરેજમાંથી પણ પાણી છોડવાનું ઓછું કરાયું છે. સાંજે ૬.૦૦ વાગ્યે લાકરોડા બેરેજમાંથી ૪૭,૩૬૬ ક્યુસેક્સ પાણી છોડવામાં આવી રહ્યું છે, એટલે સંત સરોવરમાં આવતા પાણીની આવક પણ ઓછી થઈ છે.