ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનું 94 વર્ષની વયે નિધન થયું છે. તેઓ કોંગ્રેસના પીઢ નેતા હતા. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ માધવસિંહ સોલંકીના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યુ છે અને ગુજરાતમાં એક દિવસના શોકની જાહેરાત કરવામાં આવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમના આજના તમામ કાર્યક્રમો રદ કરી નાંખ્યા છે.


મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના નિધન અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલી પાઠવી છે. માધવસિંહ સોલંકીના સન્માનમાં એક દિવસનો શોક પાળવાની જાહેરાત કરી છે. માધવસિંહ સોલંકીના અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવાનો નિર્ણય પણ મુખ્યમંત્રીએ કર્યો છે.

માધવસિંહ સોલંકી ચાર વખત એટલે કે 1973-1975-1982-1985માં ગુજરાતના મુખ્ય મંત્રી હતા. ગુજરાત વિધાનસભામાં 182માંથી 149 બેઠકો જીતવાનો એમનો રેકોર્ડ નરેન્દ્ર મોદી પણ તોડી નથી શક્યા.

તેમના નિધનથી કોંગ્રેસને મોટી ખોટ પડી છે. રાષ્ટ્રીય કક્ષાએ પણ તેમનું મહાત્મય હતું. તેમના સમયમાં ગુજરાતમાં કોંગ્રેસનો સુવર્ણકાળ હતો. તેઓ એવા નેતા હતા, જેઓ હંમેશા પક્ષ અને તમામ સાથી નેતાઓને સાથે લઈને ચાલતા હતા. માધવસિંહના નેતૃત્વમાં કોંગ્રેસને ગુજરાતમાં સૌથી વધુ બેઠક મળી હતી.