અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કારણે વધું એક દર્દીનું મોત થયું છે. પંચમહાલના ગોધરમાં કોરોના પોઝિટિવ દર્દીનું મોડી રાત્રે અવસાન થયું છે.


78 વર્ષના આ દર્દી વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ઉદય ટીલાવત દ્વારા જણાવવામાં આવ્યું છે. ગોધરા ના 78 વર્ષના અબ્દુલ હકીમ પટેલ છેલ્લા ત્રણ દિવસથી વડોદરા ની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા.

નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં કોરોનાનો એક કેસ આવ્યો હતો જેમાં ભાવનગરના 27 વર્ષીય યુયવકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, આજે નોંધાયેલા એક નવા કેસ સાથે રાજ્યમાં કોરોનાના કન્ફર્મ કેસનો આંકડો 88 પર પહોંચ્યો છે. આજે રાજ્યમાં કોરોનાના ત્રણ દર્દીઓ સાજા પણ થયા છે, અને તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જેમાં સુરતના બે અને રાજકોટના એક દર્દીનો સમાવેશ થાય છે. અમદાવાદમાં સૌથી વધુ 31 કોરોના પોઝિટીવના કેસ નોંધાયા છે. તે સિવાય રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના કારણે 8 લોકોના મોત થયા છે.

ગુજરાતમાં કુલ 1726 ટેસ્ટ કરવામાં આવ્યા છે જેમાંથી 11 પેન્ડિંગ છે જ્યારે 1628 નેગેટિવ આવ્યા હતા. રાજ્યમાં સૌથી વધુ કન્ફર્મ કેસ અમદાવાદમાં છે, જેનો આંકડો 31 છે. સૌથી વધુ 3 મૃત્યુ પણ અમદાવાદમાં જ થયા છે. આ ઉપરાંત, સાજા થનારા દર્દીઓની સંખ્યા પણ અમદાવાદમાં 5 છે જે રાજ્યમાં સૌથી વધુ છે. રાજ્યના અન્ય મોટા શહેરો પર નજર નાખીએ તો, અમદાવાદ બાદ સુરતમાં 12, ગાંધીનગરમાં 11, રાજકોટમાં 10 કન્ફર્મ કેસ છે. જ્યારે ભાવનગરમાં કન્ફર્મ કેસમાં ઝડપી વધારો થયો છે અને હાલ આ આંકડો 7 પર પહોંચી છે, અને જિલ્લામા 2નાં મોત પણ થયા છે.

પીએમે મોદીએ ગઈકાલે તમામ રાજ્યોના સીએમ સાથે કરેલી વિડીયો કોન્ફરન્સમાં આપેલા સૂચનોનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું હતું કે, રોગપ્રતિકારક શક્તિ વધારવા આયુષ મંત્રાલય તેમજ પીએમે ગરમ પાણી પીવા ઉપરાંત હળદળવાળું દૂધ પીવા અને પ્રાણાયામ કરવા જેવા સરળ ઉપાયો સૂચવ્યા હતા. ટ્રીટમેન્ટ અને ટેસ્ટિંગ પર પણ પીએમે ખાસ ભાર મૂક્યો હોવાની માહિતી તેમણે કહ્યું હતું.