અમદાવાદ : ગુજરાતના જાણીતા કટાર લેખક, સમીક્ષક, વિવેચક અને પત્રકાર પદ્મશ્રી નગીનદાસ સંઘવીનું 100 વર્ષની વયે નિધન થયું છે. નગીનદાસ સંધવી મુંબઇની જાણીતી મીઠીબાઇ કોલેજમાં પ્રોફેસર હતા. વિદ્યાર્થીઓને પોલીટીકલ સાયન્સનો વિષય ભણાવતા હતા. મુંબઇના સિનિયર જર્નલિસ્ટ તેમના હાથ નીચે અભ્યાસ કરી ચુકયા છે. નગીનદાસ સંઘવીના નિધન પર પીએમ મોદીએ ટ્વિટ કરી દુખ વ્યક્ત કર્યું છે.


પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ ટ્વિટ કરતા લખ્યું, નગીનદાસ સંઘવી પ્રબુદ્ધ લેખક-વિચારક હતા. એમના લેખો અને પુસ્તકોમાં ઇતિહાસ અને તત્વજ્ઞાનની સમજ અને રાજકીય ઘટનાઓનું પૃથક્કરણ કરવાની અસાધારણ શક્તિનો પરિચય થાય છે. એમના અવસાનથી દુ:ખની લાગણી અનુભવું છું. શોકગ્રસ્ત પરિવાર અને એમના વિશાળ વાચકવર્ગને સાંત્વના...ઓમ શાંતિ !!



મુખ્યમંત્રી વિજય ભાઈ રુપાણીએ પદ્મશ્રી નગીનદાસ સંઘવીના દુઃખદ અવસાન અંગે શોક વ્યક્ત કર્યો છે. મુખ્યમંત્રીશ્રી પાઠવેલા શોક સંદેશમાં સદગત નગીનદાસ સંઘવીને એક સચોટ અને પ્રખર વિવેચક સમીક્ષક ગણાવતા કહ્યું છે કે સમાજ જીવન અને દેશ દુનિયાની સાંપ્રત સમસ્યાઓ અને સ્થિતિનું નીર ક્ષિર વિવેક સાથે નિરૂપણ કરવાની તેમની સહજ લેખની એ લાખો વાચકોના દિલમાં અમિટ છબિ ઊભી કરી છે. તેમના નિધનથી ગુજરાતના સાહિત્યિક અને પત્રકારિતા જગતને ના પુરાય એવી ખોટ પડી છે. મુખ્યમંત્રીએ સ્વર્ગસ્થના આત્માની પરમ શાંતિની પ્રાર્થના કરી છે.