કેવડિયાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના જન્મદવિસ પર ગૃહરાજ્ય ગુજરાતના કેવડિયામાં જનસભાને સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે, તેઓ સરદાર સરોવર યોજનાને સફળ બનાવવા માટે કામ કરતા લાખો લોકોનો આભાર માને છે. મોદીએ સભાને કરેલા સંબોધન દરમિયાન કરેલી 10 મોટી વાતો.


(1)આજના દિવસે મા નર્મદાના દર્શન, પૂજા-અર્ચનાનો અવસર મળવો મારા માટે ખૂબ મોટા સૌભાગ્યની વાત છે.

(2) એક સમયે મને ફોટોગ્રાફીનો શોખ હતો. બાદમાં કામની વ્યસ્તતાના કારણે બધું છૂટી ગયું. આજે મારું મન કહેતું હતું કે જો મારા હાથમાં કેમેરો હોત તો ખૂબ સારુ થાત. ઉપરથી જે દ્રષ્ય જોઈ રહ્યો છું તેમાં આગળ જનસાગર અને પાછળ જલસાગર છે.

(3) આપણી સંસ્કૃતિ મુજબ પર્યાવરણની રક્ષા કરતી વખતે પણ વિકાસ થઈ શકે છે. પ્રકૃતિ આપણા માટે આરાધ્ય છે. પ્રકૃતિ આપણું આભૂષણ છે.

(4) પર્યાવરણનું સંરક્ષણ કરીને કેવી રીતે વિકાસ કરી શકાય તેનું જીવંત ઉદાહરણ કેવડિયામાં જોવા મળી રહ્યું છે. કેવડિયામાં પ્રગતિ, પ્રકૃતિ, પર્યાવરણ અને પર્યટનનો અદ્ભૂત સંગમ થઈ રહ્યો છે.

(5)આજે એક તરફ સરદાર સરોવર ડેમ છે, વીજળી ઉત્પાદનના યંત્ર છે તો બીજી તરફ એકતા નર્સરી, બટર ફ્લાઈ ગાર્ડન જેવી ઈકો ટુરિઝમ સાથે સંકળાયેલી સુંદર વ્યવસ્થા છે. આ બધાની વચ્ચે સરદાર પટેલની ભવ્ય પ્રતિમા આપણે આશીર્વાદ આપતી નજરે પડે છે.

(6) આજે નિર્માણ અને સર્જનના દેવતા વિશ્વકર્માજીની જયંતિ છે. નવા ભારતના નિર્માણના જે સંકલ્પને લઈ આપણે આગળ વધી રહ્યા છીએ તેમાં ભગવાન વિશ્વકર્મા જેવી સર્જનશીલતા અને મોટા લક્ષ્યને પ્રાપ્ત કરવાની ઈચ્છાશક્તિ ખૂબ જરૂરી છે.

(7) આજે જ્યારે હું તમારી સાથે વાત કરી રહ્યો છું ત્યારે સરદાર સરોવર ડેમ અને સરદાર સાહેબની દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા બંને તેમની જ ઈચ્છાશક્તિ અને સંકલ્પશક્તિનો પ્રતીક છે. મને વિશ્વાસ છે કે તેમની પ્રેરણાથી અમે નવા ભારત સાથે સંકળાયેલા દરેક સંકલ્પને સિદ્ધ કરીશું અને નવા લક્ષ્યને હાંસલ કરશું.

(8) આજે પહેલી વખત સરદાર સરોવર ડેમને પૂરો ભરેલો જોયો છે. એક સમયે 122 મીટર સુધી પહોંચાડવાનો લક્ષ્ય ખૂબ મોટ વાત હતી પરંતુ 5 વર્ષની અંદર 138 મીટર સુધી સરદાર સરોવર ડેમ ભરાઈ જવો અદ્ભૂત અને અવિસ્મરણીય છે.

(9) ગુજરાતમાં થઈ રહેલા સફળ પ્રયોગો અને જનભાગીદારી સાથે સંકળાયેલા કાર્યોથી આપણે આગળ વધવાનું છે. ગુજરાતના ગામે-ગામમાં જે સાથી આ પ્રકારના અભિયાન સાથે દાયકાથી જોડાયેલા છે તેમને હું આગ્રહ કરું છું કે સમગ્ર દેશને તમારા અનુભવથી માહિતગાર કરો.

(10) મને યાદ છે કે વર્ષ 2000માં રાજકોટ, સુરેન્દ્રનગર અને જામનગરમાં પાણી પહોંચાડવા માટે ભારતના ઈતિહાસમાં પ્રથમ વખત પાણી માટે સ્પેશલ વોટર ટ્રેન દોડાવવી પડી હતી. આજે જ્યારે તે જૂનો દિવસોને યાદ કરું છું તો લાગે છે કે આજે ગુજરાત કેટલું આગળ નીકળી ગયું છે.