નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઘોઘા-હજીરા રો-પેક્સ સર્વિસનું વચ્યુઅલ લોકાપર્ણ કર્યું હતું. સુરતના હજીરાથી ભાવનગરના ઘોઘા વચ્ચે રો પેક્સ ફેરીનો પ્રારંભ કરાવતા પીએમ મોદીએ કહ્યું સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના વર્ષોનું સ્વપ્ન પૂર્ણ થયું. આ દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણી, કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.


કંપનીએ બુકિંગ શરૂ કર્યાના 24 કલાકમાં જ 3800 પેસેન્જરે બુકિંગ કરાવ્યું છે. એ સાથે 800 કાર, 400 બાઇક અને 500 ગુડ્ઝ ટ્રકનું બુકિંગ થઈ ગયું છે. ઉપરાંત 12 હજાર ઇન્કવાયરી પણ મળી છે, એવું કંપનીના સીઇઓએ જણાયું હતું.

આ પહેલા પીએમ મોદીએ ટ્વિટ કરીને લખ્યું હતું, કાલે ગુજરાત માટે ખૂબ મહત્વનો દિવસ છે. સુરત અને સૌરાષ્ટ્ર જળમાર્ગ સાથે જોડાવા જઈ રહ્યા છે. હું સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા હજીરાથી ઘોઘા વચ્ચેની રો-પેક્સ ફેરી સર્વિસનું ઉદઘાટન કરીશ. આનાથી સમય અને ઇંધણની બચત થશે, જ્યારે વેપાર અને ઉદ્યોગમાં વધુ વેગ મળશે.

સુરતથી સૌરાષ્ટ્ર જવા માટે 10થી 12 કલાકની માર્ગ મુસાફરી કરવી પડે છે. રો-પેક્સ સેવાને કારણે આ મુસાફરી માત્ર 4 કલાકની થઇ જશે. વળી, લોકો પોતાની સાથે મોટરસાઈકલ કે કાર પણ ગામડે લઇ જઈ શકશે, જે પહેલાં સંભવ નહોતું અથવા તો ખર્ચાળ અને સમય માગી લેનારું હતું. આમ, આ સેવા સૌરાષ્ટ્રના લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે.

હજીરા-ઘોઘા વચ્ચે રોડ માર્ગનું અંતર લગભગ 370 કિલોમીટર છે. જે સમુદ્ર માર્ગે ઘટીને 90 કિલોમીટર રહેશે. જેના લીધે પ્રતિદિન 9 હજાર લીટર ઈંધણની બચત થશે. રો-પેક્સ સર્વિસ દિવસમાં 3 રાઉંડ ટ્રીપ કરશે. તેથી રોજ 24 એમટી કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરી શકાશે. રો-પેક્સમાં વર્ષમાં અંદાજે 5 લાખ મુસાફરો 80 હજાર પેસેન્જર વાહનો, 50 હજાર ટુ-વ્હીલર અને 30 હજાર ટ્રકની અવરજવર શક્ય બનશે. સૌરાષ્ટ્રને રોપેક્સ થકી એક મોટું બજાર મળશે. સુરતના ઉદ્યોગોનો લાભ સૌરાષ્ટ્રના જિલ્લાઓને મળશે અને રોજગારીની તકો ઉભી થશે. સૌરાષ્ટ્રના પ્રવાસન સ્થળોએ પહોંચવુ પણ સરળ બનશે.

ત્રણ વર્ષ પહેલા ઘોઘા-દહેજ રૂટની વડાપ્રધાને શરૂઆત કરાવી હતી જે ટેક્નિકલ બાબતોના કારણે ટુકજ સમયમાં ઠપ્પ થઇ ગઈ હતી. ત્યારે હવે મોદીના ડ્રીમ પ્રોજેક્ટ હજીરા-ઘોઘા રો-પેક્સ ફેરી સર્વિસની શુભ શરૂઆત આજે કરાવી હતી.