ગાંધીનગર: રાજ્યમાં દુષ્કર્મની બનેલી ઘટનાએ ફરી એકવાર મહિલા સલામતીને લઈને સવાલો ઉભા કરી દીધા છે. ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ મીડિયા સમક્ષ મહિલા સુરક્ષા આપવા માટે સરકાર કટિબદ્ધ હોવાનું જણાવ્યું છે. ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ દાવો કર્યો કે નરાધમોને ફાંસીની સજા મળે તે માટે ગૃહવિભાગ સક્રિય થયું છે.


ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું, દુષ્કર્મની ત્રણેય ઘટનાને લઈ રાજ્યનું પોલીસ પ્રશાસન અને ગૃહમંત્રાલય સક્રિય થયું છે.દિકરીને પીંખનારા એક પણ નરાધમને બક્ષવામાં નહીં આવે.


રાજ્યમાં દિવસેને દિવસે વધી રહેલી દુષ્કર્મની ઘટનાઓને લઈ ગૃહ વિભાગ એક્શનમાં આવ્યું છે. રાજકોટ, વડોદરા અને સુરતમાં બની દુષ્કર્મની ઘટનાઓ બાદ ગૃહ વિભાગ સફાળુ જાગ્યું છે. આજે ગૃહ રાજ્યમંત્રીએ મીડિયાને જણાવ્યું કે, સરકાર ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવા કટિબદ્ધ છે. રાજ્ય સરકાર બળાત્કારીને ફાંસી સજાની માગ કરશે.

ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું, સરકાર રાજ્યની બહેન દિકરીઓની સુરક્ષા જાળવવા માટે પ્રયાસ કરી રહી છે. મહિલાઓની સલામતી સરકારનો પ્રથમ લક્ષ્ય છે. 2018-19માં જે ગુનાઓ થયા છે તેની ટકાવારીમાં ધટાડો આવ્યો છે, અમે આ ધટાડાથી સંતુષ્ઠ નથી અને અમે આવી ધટનાઓ ના બને તે માટે કાર્ય કરી રહ્યા છીએ.