રાજકોટ: જળમાર્ગ મંત્રાલયએ સાગરમાલા કાર્યક્રમ અંતર્ગત દરિયાઈ માર્ગે જહાજ પરિવહનને પ્રોત્સાહન આપવા માટે સતત કામગીરી કરી છે. સાગરમાલા કાર્યક્રમ મંત્રાલયનો મહત્ત્વાકાંક્ષી કાર્યક્રમ છે. એનો ઉદ્દેશ ભારતના 7,500 કિલોમીટર લાંબા દરિયા કિનારાનો ઉપયોગ કરી અને સંભવિત જળમાર્ગોનો લાભ લઈને દેશમાં બંદર સંચાલિત વિકાસને પ્રોત્સાહન આપવાનો છે.


જળમાર્ગ મંત્રાલયએ હઝીરા, ઓખા, સોમનાથ, દિવ, પિપાવાવ, દહેજ, મુંબઈ/જેએનપીટી, જામનગર, કોચી, ઘોઘા, ગોવા, મુન્દ્રા અને માંડવી જેવા સ્થળની બંદરોની પસંદગી કરી છે તથા ચટ્ટોગ્રામ (બાંગ્લાદેશ), સેશીલ્સ (પૂર્વ આફ્રિકા), મડાગાસ્કર (પૂર્વ આફ્રિકા) અને જાફના (શ્રીલંકા) એમ 4 આંતરરાષ્ટ્રીય સ્થળોને જોડવા ભારતીય મુખ્ય દરિયાઈ શહેરોમાંથી 6 આંતરરાષ્ટ્રીય રુટની પસંદગી કરી છે, જેનો આશય દરિયાકિનારે સ્થિત ભારતના મુખ્ય શહેરોમાંથી આંતરિક જળમાર્ગ દ્વારા ફેરી સેવાઓની શરૂઆત કરવાનો છે.

જળમાર્ગ મંત્રાલયએ તાજેતરમાં હઝીરા-ઘોઘા વચ્ચે રોપેકસ જહાજ ફેરી સર્વિસ શરૂ કરીને આ પ્રકારની ફેરી રુટ પૈકીના એક રુટનો સફળતાપૂર્વક અમલ કર્યો છે. આ ફેરી સેવાથી ઘોઘા અને હઝીરા વચ્ચેનું 370 કિલોમીટરનું અંતર ઘટીને 90 કિલોમીટર થયું છે તેમજ પ્રવાસનો સમય 10-12 કલાકથી ઘટીને અંદાજે 5 કલાક થયો છે.