અમદાવાદઃ ગુજરાતમાં વિજય રૂપાણી સરકાર કોરોનાના કેસો છૂપાવીને સાચા આંકડા નહીં આપતી હોવાનો આક્ષેપ કરાયો છે. કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ પત્રકાર પરિષદમા કહ્યું કે, ગુજરાત સરકાર કોરોના કેસ અને મૃત્યુના આંક છૂપાવી રહી છે. ગુજરાત સરકારે કોરોનાના 35 લાખ કેસો છૂપાવ્યા છે જ્યારે સરકાર જાહેર કરે છે તેના કરતાં મોતનો આંકડો દસ ગણો છે.


મોઢવડિયાએ કહ્યું કે, હમણા ICMRએ આંકડા બહાર પાડ્યા તે મુજબ આંકડા છુપાવવામાં ગુજરાત બિહાર બાદ આંકડા છુપાવવામાં બીજા નંબરનું રાજ્ય છે. ગુજરાત સરકાર દ્વારા 35 લાખ જેટલા કેસ છૂપાવવામાં આવ્યા છે અને પહેલાં ટેસ્ટ કરવામાં ન આવ્યા એ પછી દર્દીઓની સંખ્યા છુપાવવામાં આવી છે.

તેમણ કહ્યું કે, હાલ ટેસ્ટ પણ વધ્યા છે પણ મોતનો આંકડો બતાવવામાં આવે છે તેના કરતાં 10 ગણાં મોત થઈ રહ્યા છે. તેમણે અપીલ કરી કે, જે અધિકારીઓ રમત શીખવાડે છે તેમની સામે સરકાર એક્શન લે. પ્રજાને સાવચેત રહેવા સરકારે અપીલ કરવી જોઈએ પણ દુર્ભાગ્યપૂર્ણ છે કે ચૂંટાયેલા ધારાસભ્ય સરકારનું ધ્યાન દોરે તો અધિકારીઓ બ્લોક કરી દે છે. વાસ્તવમાં અધિકારીઓએ ચૂંટાયેલા ધારાસભ્યો સાથે સંપર્કમાં રહીને એક્શન લેવાં જોઈએ. ભાજપે સમજવું જોઈએ કે, લોકો સરકારને અને ભાજપને લોકો સવાલ પૂછશે,અધિકારીઓને નહિ.