ગાંધીનગરઃ રૂપાણી સરકારે વિદ્યાર્થીઓ માટે એક મહત્વપૂર્ણ યોજના જાહેર કરી છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ શહેરોમાં ફેલાતા હવા પ્રદૂષણને અટકાવવા માટે બેટરી સંચાલિત ટુ-વ્હીલર-થ્રી વ્હીલરના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે સહાય યોજના જાહેર કરી હતી. આ સહાય યોજના હેઠળ રાજ્યના ધોરણ-9થી લઇને કોલેજ સુધીનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને બેટરી સંચાલિત ટૂ વ્હીલર ખરીદવા સરકાર 12 હજાર રૂપિયાની સહાય આપશે. આ સહાય-સબસિડી 10 હજાર વાહનોને આપવાનો લક્ષ્યાંક છે. તે સિવાય બેટરી સંચાલિત ઇ-રીક્ષા થ્રી વ્હીલર ખરીદીમાં પણ 48 હજાર રૂપિયાની સહાય રાજ્ય સરકાર આપશે અને પાંચ હજાર ઇ-રિક્ષાઓને તેનો લાભ અપાશે.


સાથે સરકારે બેટરી સંચાલિત વાહનોના ચાર્જિંગની માળખાકીય સુવિધાઓ ઊભી કરવા રૂપિયા 50 લાખની યોજના પણ અમલમાં મુકી હતી. નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે 11 વર્ષ પહેલાં આજના દિવસે તેમણે ક્લાઈમેટ ચેન્જ વિભાગની સ્થાપના કરી હતી. આ વિભાગના સ્થાપના દિવસની ઉજવણી અંતર્ગત શ્રેણીબદ્ધ કાર્યક્રમો યોજાયા હતા.

આ સહાય યોજના અન્વયે રાજ્યના ધોરણ-9થી લઇને કોલેજ સુધીનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને બેટરી સંચાલિત ટુ વ્હીલર ખરીદવા સરકાર 1ર હજાર રૂપિયાની સહાય આપશે. આ સહાય-સબસિડી 10 હજાર વાહનોને આપવાનો લક્ષ્યાંક છે.

એટલું જ નહિ, વ્યકિતગત અને સંસ્થાકીય લાભાર્થીઓ માટે બેટરી સંચાલિત ઇ-રિક્ષા થ્રી વ્હીલર ખરીદીમાં પણ 48 હજાર રૂપિયાની સહાય રાજ્ય સરકાર આપશે અને પાંચ હજાર ઇ-રિક્ષાઓને તેનો લાભ અપાશે.

મુખ્યમંત્રી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આ કાર્યક્રમમાં જોડાયા હતા. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, ગ્રીન એનર્જી ક્લિન એનર્જી સાથે ગુજરાત આગળ વધી રહ્યું છે. વર્ષો પહેલાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ભવિષ્યમાં ઉભા થનારા પડકારોને લક્ષમાં રાખીને દેશમાં પ્રથમવાર ક્લાઈમેટ ચેન્જ વિભાગની સ્થાપના કરી હતી. દેશમાં સોલાર સિસ્ટમમાં ગુજરાત અગ્રેસર છે. લોકો પોતાના ઘરના રૂફટોપ પર વીજળી ઉત્પન્ન કરી વધારાની વીજળી વેચીને આવક પણ મેળવી શકે છે. એ માટે સોલાર રૂફટોપ યોજના ગુજરાતની આગવી ઓળખ બની છે.