Sabarkantha Lok Sabha News: ભાજપમાં અત્યારે ગુજરાતમાં ઠેર ઠેર વિરોધની આગ સળગી છે, પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા અને વિજાપુર બાદ હવે અમરેલીમાં પણ ભાજપના કાર્યકર્તાઓ નિરાશ થયા છે અને વિરોધ કરી રહ્યાં છે, ત્યારે આ બધાની વચ્ચે કોંગ્રેસના દિગ્ગજ અને સીનિયર નેતા તુષાર ચૌધરીએ મોટી પ્રતિક્રિયા આપી છે, અને ભાજપ પર આકરા શાબ્દિક પ્રહાર કર્યા છે. તુષાર ચૌધરીએ ભાજપની શિસ્તબદ્ધની વાતોની પોલ ખોલી છે, તેમને કહ્યું કે, ભાજપ હાર ભાળી જતાં ઉમેદવારો બદલી રહી છે, ભાજપના કાર્યકરો અંદરોઅંદર એકબીજાનો વિરોધ કરી રહ્યાં છે.  


સાબરકાંઠા બેઠક પરના કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરીએ મોટી પ્રતિક્રિયા આપી છે, હાલમાં રાજ્યમાં સાબરકાંઠા ભાજપમાં ઉકળતા ચરૂ જેવી સ્થિતિ છે, આ ઘટનાને પગલે કોંગ્રેસ ઉમેદવાર ડૉ. તુષાર ચૌધરીએ ભાજપ પર શાબ્દિક પ્રહારો કર્યા છે. 


લોકસભા ચૂંટણીને લઇને તુષાર ચૌધરીએ ભાજપ પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે, શિસ્તબદ્ધ ગણાતી ભાજપમાં શિસ્તના લીરેલીરા ઉડી રહ્યાં છે. સાબરકાંઠામાં એક ઉમેદવાર બદલ્યા બાદ બીજા ઉમેદવારનો પણ વિરોધ થઇ રહ્યો છે. ગૃહ રાજ્યમંત્રીએ પાંચ કલાક બેઠક કરી છતા અસંતોષ ખાળી નથી શક્યા. મુખ્યમંત્રી કક્ષાએ 5 કલાક બેઠક મળ્યા બાદ પણ કોકડું ઉકેલાયું નથી. વધુમાં કહ્યું કે, 26 બેઠકો 5 લાખની લીડથી જીતવાનો દાવો કરતા ભાજપ ઉમેદવાર કેમ બદલી રહ્યા છે. 5 લાખની લીડના બદલે હાર દેખાતા ઉમેદવાર બદલવા પડે છે. મારા પિતાએ આ વિસ્તારમાં કરેલા કામોના કારણે લોકો મને પસંદ કરશે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને પક્ષની તાકાતથી અમે ચૂંટણી જીતીશું. ભાજપમાં હાલ જે માહોલ છે તે મે ક્યારેય જોયો નથી. ભાજપનો ગઢ ગણાતા વડોદરા બેઠક પરથી ભાજપમાં દાવાનળ સળગ્યો છે. તુષાર ચૌધરીએ આકરો કટાક્ષ કરતાં કહ્યું કે, કોંગ્રેસયુક્ત ભાજપ થતાં ભાજપના સંનિષ્ઠ કાર્યકરો અવાજ ઉઠાવી રહ્યાં છે. 


સાબરકાંઠામાં ઉમેદવાર નહીં બદલાય, CM સાથેની બેઠકમાં સ્પષ્ટ થઇ સ્થિતિ, તમામને અપાઇ આ સૂચનાઓ


સાબરકાંઠામાં ભડકો વધી રહ્યો છે, ગઇકાલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સાબરકાંઠાની મુલાકાત લીધી છે, અને વન ટૂ વન સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ભાજપના નેતાઓ અને કાર્યકરો સાથે બેઠક કરી હતી. હવે આ મુદ્દે આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ બેઠક કરી છે. ઉલ્લેખનીય છે કે, સાબરકાંઠામાં ભાજપે પહેલા ભીખાજી ઠાકોરને લોકસભા બેઠકની ટિકીટ આપી હતી, જોકે, અટકને લઇને વિવાદ થતાં બાદમાં ઉમેદવાર બદલીને શોભના બારૈયાને ટિકીટ આપી હતી. બેઠક પર બે વાર ઉમેદવારો બદલાયા છતાં વિવાદ શમતો નહતો, જેને લઇને હવે સીએમ પટેલ એક્શનમાં આવ્યા અને આજે ગાંધીનગરમાં તેમના નિવાસ સ્થાને પક્ષના તમામ નેતાઓ, ધારાસભ્યો અને આગવાનોને બોલાવીને બેઠક કરી હતી, જેમાં સ્પષ્ટ રીતે સૂચના આપવામાં આવી હતી કે, સાબરકાંઠા બેઠક પર ઉમેદવાર બદલાશે નહીં, પક્ષના તમામ કાર્યકર્તાઓને સાથે મળીને એકજૂથ થઇને કામ કરવાનું છે. 


આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસ સ્થાને સાબરકાંઠા બેઠક પર ચાલી રહેલા વિવાદને ઉકેલવા માટે બેઠક યોજાઇ હતી, આ બેઠકમાં સીએમ પટેલ ઉપરાંત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ પણ હાજર રહ્યાં હતા. સુત્રો તરફથી આ બેઠકને લઇને માહિતી સામે આવી છે કે, સાબરકાંઠા બેઠક પર ઉમેદવાર નહીં બદલાય. બેઠકમાં તમામને એકજૂથ થઈ ભાજપ માટે કામ કરવા સૂચના અપાઈ છે. પક્ષ અને ઉમેદવાર વિરૂદ્ધના કાર્યક્રમ બંધ કરવાની સૂચના અપાઇ છે. પક્ષ અને ઉમેદવાર વિરૂદ્ધ નિવેદનો નહીં આપવાની પણ સૂચના અપાઇ છે. 


સુત્રો અનુસાર, ઠાકોર, આદિવાસી નેતાઓને સક્રિયતા વધારવા સૂચના અપાઇ છે, વિવાદાસ્પદ નિવેદનોથી દુર રહેવાની અપાઈ સૂચના અપાઇ છે. આ ઉપરાંત વિવાદોથી દુર રહેવા રમણભાઈ વોરાને સૂચના અપાઈ છે. હર્ષ સંઘવીએ કરેલી મુલાકાતની પણ સમીક્ષા કરાઇ છે. રમીલાબેન,કોટવાલને આદિવાસી સમાજમાં સક્રિય થવાની સૂચના અપાઇ છે. આ બેઠકમાં વી.ડી.ઝાલા, રમણ વોરાને કાર્યકર્તા સાથે સારા વ્યવહારની સૂચના અપાઇ છે. પક્ષ વિરોધી પડદા પાછળની રમત બંધ કરવાની સૂચના અપાઇ છે. ખાસ વાત છે કે, અરવલ્લી અને સાબરકાંઠામાં વિરોધ ખાળવા તમામને સ્પષ્ટ અને કડક સૂચના અપાઇ છે. ભીખાજી ઠાકોરના ગ્રુપને વિરોધ બંધ સૂચના અપાઇ છે. નેતાઓ, કાર્યકર્તાઓ વચ્ચે સંકલન વધારવા સૂચના અપાઇ છે. સાંસદ, ધારાસભ્યોને સંગઠન સાથે સંકલન વધારવા સૂચના અપાઇ છે. 


આ બેઠકમાં પ્રદેશ જિલ્લા સંગઠનના નેતાઓ, જનપ્રતિનિધિઓ, સાંસદ, ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્યો, MLA રમણ વોરા, વી.ડી. ઝાલા, પ્રદેશ મહામંત્રી રજની પટેલ, કલસ્ટર પ્રભારી બાબુ જેબલિયા, પૂર્વ MLA હિતુ કનોડીયા, અશ્વિન કોટવાલ, સાંસદ દિપસિંહ રાઠોડ, રમીલાબેન બારા, અપક્ષ ધારાસભ્ય ધવલસિંહને પણ બોલાવાયા હતા.