નવસારી: રાજ્યમાં હાલમાં શાળા પ્રવેશ મહોત્સવ ચાલી રહ્યો છે. જો કે આ દરમિયાન વિપક્ષી દળો રાજ્યમાં શિક્ષકોની ઘટને લઈને સવાલો ઉઠાવી રહ્યા છે. તો બીજી તરફ ચીખલી તાલુકામાં આવેલા સાદડવેલ ગામે સરપંચ અને ગ્રામજનો દ્વારા શાળા પ્રવેશ મહોત્સવ દરમિયાન ગીત ગાઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું. શાળાની જર્જરિત ઇમારત ઉતારી દેવાયા બાદ નવા ઓર્ડર ન બનતા ગ્રામજનોમાં નારાજગી જોવા મળી રહી છે. 


પૂરતા પ્રમાણમાં ઓરડા ન હોવાના કારણે વિદ્યાર્થીઓએ બહાર બેસી અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. અનેકવાર લેખિત રજૂઆત કરવા છતાં ઓરડા ન બનતાં પ્રવેશ મહોત્સવ દરમિયાન ગામના સરપંચ સહિત ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો છે. બાળકોના ભવિષ્ય માટે ગ્રામજનો સરકાર સામે મેદાને પડ્યા છે. ઉનાળાના ચાર ચાર મહિના ગયા છતાં નવા ઓરડા નથી આવ્યા, સરકાર વાત માનતી નથી એવું ગીત ગાયને વિરોધ નોંધાવ્યો છે. જો ઓરડા બનાવવાની માંગણી ન સંતોષવામાં આવે તો શાળાને તાળુ મારી બાળકોને ઘરે ભણાવવાની ચીમકી આપી છે.


ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી


ગાંધીનગરઃ હવામાન વિભાગે ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આગામી ત્રણ દિવસ માટે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. બીજી તરફ અમદાવાદમાં આગામી બે દિવસમાં ગરમીનો પારો વધીને 42 ડિગ્રીને પાર થવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, પોરબંદર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.  બીજી તરફ અમદાવાદમાં હજુ પણ 27 જુન સુધી વરસાદની સંભાવના નહીંવત છે. અમદાવાદમાં આગામી બે દિવસ દરમિયાન ગરમી વધી શકે છે અને તાપમાનનો પારો 43 ડિગ્રી સુધી જવાની સંભાવના દર્શાવાઈ છે.


ભજીયા ખાધા બાદ 12 લોકોને ફૂડ પોઇઝનિંગ 
ઘોઘંબા તાલુકાના સાજોરા ગામના વાવકુલ્લી ફળિયાના રહીશ રમણભાઇ  ભીખાભાઈના ઘરે મેહમાન આવ્યાં હતાં. ઘરે મહેમાન આવતા તેમના જમણવારમાં  ભજીયા બનાવ્યાં  હતા. આ  ભજીયા મહેમાન સહિત ઘરના અન્ય સભ્યોએ આરોગતા  તમામને ફૂડ પોઇઝનિંગ અસર થઇ હતી. ભજીયા  ખાધા  બાદ એક કલાક વીત્યા બાદ  તમામ ને ગભરામણ અને ઉલ્ટી-ઝાડાની એક સાથે ફરિયાદ ઉઠતા  તાત્કાલિક નજીકના ખાનગી દવાખાને લઈ જવાયા હતા. પરંતુ  ફૂડ પોઇઝનિંગની અસર જણાતા તમામ ને 108 એમ્બયુલેન્સ દ્વારા ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર માંટે ખસેડવામાં આવ્યાં હતા. 


12 લોકોમાંથી એકની હાલત ગંભીર 
ખોરાકી ઝેરની અસર થતા એક બાળકી સહિત 12 જેટલા વ્યક્તિઓને ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમની  સારવાર શરૂ કરી હતી. સારવાર દરમિયાન એક વ્યક્તિની હાલત ગંભીર જણાઈ આવતા  વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા છે. ખોરાકી ઝેરની અસર પામેલા અન્ય તમામ લોકોને સમયસર સારવાર મળતા તમામની હાલતમાં સુધાર જોવા મળ્યો હતો.