અમદાવાદઃ  રાજદ્રોહ કેસમાં  શનિવાર, તારીખ 18 જાન્યુઆરી, 2020ના રોજ ધરપકડ કરવામાં આવેલા કોંગ્રેસ નેતા હાર્દિક પટેલના સેશન્સ કોર્ટે શરતી જામીન મંજૂર કર્યા છે. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે હાર્દિકને 25,000 રૂપિયાના જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો હતો.. કોર્ટે હાર્દિકના જામીન મંજૂર કરતી વખતે કેસની ટ્રાયલમાં સંપૂર્ણ સહકાર આપવાની શરત મૂકી હતી. ઉપરાંત આરોપીએ સાક્ષીઓને હેરાન ન કરવા અને ક્રાઈમ બ્રાંચ બોલાવે ત્યારે સહકાર આપવા પણ જણાવ્યું હતું. હવે પછી કેસની તારીખમાં ફરજીયાત હાજર રહેવાનો આદેશ કર્યો છે.


આ પહેલા રાજદ્રોહ કેસમાં કોર્ટમાં ગેરહાજર રહી કાનૂની કાર્યવાહીને જાણી જોઇને વિલંબમાં નાખી મુદતમાં હાજર ન રહેતા હાર્દિક પટેલ સામે એડિ.સેશન્સ જજ બી.જે.ગણાત્રાએ ધરપકડ વોરંટ કાઢ્યું હતું. ત્યાર બાદ સાઇબર ક્રાઈમની ટીમે ગણતરીના કલાકોમાં વિરમગામ નજીક આવેલી હાંસલપુર ચોકડીથી હાર્દિકની શનિવારે ધરપકડ કરી હતી. હાર્દિકને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે 24મી સુધી જ્યુડિશિયલ કસ્ટડીનો આદેશ કર્યો હતો. ત્યાર બાદ હાર્દિક પટેલે સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી.

હાર્દિકની ધરપકડને લઈ પ્રિયંકાએ ગાંધીએ ભાજપ પર ઉઠાવ્યો હતો સવાલ

ગુજરાત કોંગ્રેસના નેતા હાર્દિક પટેલની ધરપકડ મામલે પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ બીજેપી સરકાર પર નિશાન સાધ્યું હતું. પ્રિયંકા ગાંધીએ રવિવારે ટ્વિટ કરીને લખ્યું, યુવાઓને રોજગાર અને ખેડૂતોના હકની લડાઈ લડનારા યુવા હાર્દિક પટેલને બીજેપી વારંવાર પરેશાન કરી રહી છે. હાર્દિકે તેના સમાજના લોકો માટે અવાજ ઉઠાવ્યો, તેમના માટે નોકરિયો માંગી, છાત્રવૃત્તિ માંગી, ખેડૂત આંદોલન કર્યું. બીજેપી આને દેશદ્રોહ કહી રહી છે.

શું છે મામલો

વર્ષ 2016માં પાટીદાર અનામત આંદોલન દરમિયાન પાસના કન્વીનર હાર્દિક પટેલ, કેતન પટેલ, દિનેશ બાંભણિયા અને ચિરાગ પટેલ વિરુદ્ધ રાજદ્રોહનો ગુનો નોંધાયો હતો, જેમાં ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓ સામે કોર્ટમાં ચાર્જશીટ કરી છે. આ કેસની કાનૂની કાર્યવાહી સેશન્સ કોર્ટમાં ચાલે છે. છેલ્લા ઘણા સમયથી હાર્દિક સહિતના આરોપીઓ જાણી જોઇને વિવિધ પ્રકારની અરજીઓ કરી મુદત પડાવે છે. સામાન્ય કામ હોવા છતાં કોર્ટમાં હાજર ન રહેવાની અરજીઓ કરતા હોવાથી કેસની ટ્રાયલ ચલાવવામાં વિલંબ થઇ રહ્યો છે.