ઈડરમાં ગાયિકા કિંજલ દવે જે કાર્યક્રમમાં હાજર હતી તે કાર્યક્રમ યોજનાર આયોજકો વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી કાર્રવાઈ કરતા કિંજલ દવે ગિન્નાઈ છે. વલાસણા રોડ પર નવ નિર્માણ પામતી બંગ્લોઝ સ્કીમના બુકીંગ માટે મંજૂરી વગર યોજેલા કાર્યક્રમને લઈ પોલીસે 4 આયોજકો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. જેના કારણે ગિન્નાયેલી કિંજલ દવેએ સવાલ ઉઠાવ્યા છે.


નેતાઓ સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન કરતા હોવાનો આરોપ લગાવતા કિંજલે મીડિયા પર પણ ગંભીર સવાલ ઉઠાવ્યા છે. કોરોનાના કારણે પોતાના ગ્રુપના 22 જેટલા લોકો બેરોજગાર હોવાનું કહેતી કિંજલના બેવડા વલણનો પર્દાફાશ થયો છે.

આ મામલે પોતાની ભડાસ કાઢતા કિંજલ દવેએ ફેસબુક સ્ટેટ્સમાં લખ્યું કે, 11 મહિના મારા ગ્રુપના 20થી 25 લોકોની રોજગારી બંધ છે, તેઓ બેરોજગાર છે. માત્ર બેથી ત્રણ કલાકારોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. 11 મહિના બાદ પ્રથમ કાર્યક્રમ કર્યો તેમાં પણ ટાર્ગેટ કરવામાં આવ્યા છે. અન્ય કલાકારો અને રાજનેતાઓના કાર્યક્રમો કેમ નથી દેખાતા? નેતાઓ પણ સામાજિક અંતરનું પાલન નથી કરતા. વિરોધ કરવો હોય તો તમામ લોકોનો કરો. માત્ર કલાકારોને હેરાન કરવાનું બંધ કરો.



નોંધનીય છે કે, આ પહેલા કોરોના કાળમાં લોકોને સોશલ ડિસ્ટંસ જાળવવાની સલાહ આપતી કિંજલ દવેએ હજારો લોકોનો જીવ જોખમમાં મૂકીને વરઘોડો કાઢ્યો હતો. ભાજપના જ ધારાસભ્ય સાથે મળી સેંકડો લોકો સાથે વરઘોડો કાઢ્યો હતો.